ગુજરાત સરકારે આજે વડોદરામાં આવેલા પૂરથી અસર પામેલા લોકો માટે રાહત જાહેર કરી છે. આ રાહતને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ લોલીપોપ સમાન ગણાવી છે. અમિત ચાવડાએ માંગણી કરી છે કે, વડોદરા મહાનગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ.
ગુજરાત સરકારે જાહેર કરેલ સહાયને લોલીપોપ ગણાવતા અમિત ચાવડાએ કહ્યું કે, સરકારે દુકાન અને ગોડાઉનનો સરવે કરાવવો જોઈએ. સરવે પ્રમાણે થયેલા નુકસાન અંગેની સહાય મળવી જોઈએ. વડોદરામાં આવેલ પૂર એ સરકાર પ્રેરિત પૂર હતું. વડોદરા મનપાના જવાબદાર હોદ્દેદારો અને અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ. વડોદરા મહાનગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ.
વડોદરામાં સરકાર સર્જીત પૂરને કારણે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે નુકસાનનો સરવે કરવો જોઈએ. માલ મિલકત અને વાહનોને ભારે નુકસાન થવા પામ્યું છે. પરંતુ સરકારે તો લોલીપોપ જેવી જાહેરાત કરી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો એક મહિનામાં દૂર કરવા જોઈએ. નદી કાંઠે બંધાઈ રહેલા અનેક બાંધકામોને બંધ કરવા જોઈએ. ઝોન ફેરફાર કરીને જે કોઈ બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે તે તાકીદે રદ કરવી જોઈએ, તેવી માંગ અમિત ચાવડાએ કરી છે.