દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 94 ટકા વરસાદની અછત વર્તાઈ રહી છે ત્યારે ખેડૂતો અને જિલ્લા કોંગ્રેસે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પશુઓ માટે ઘાસચારીના વ્યવસ્થા કરવા ખેડૂતોને રજૂઆત કરી છે.
આ વર્ષે અલ નિનોની અસરને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની અછત વર્તાઈ રહી છે. જેમા દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. દ્વારકા જિલ્લામાં 94 ટકા વરસાદની અછત વર્તાઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, એટલે કે 94 ટકા વરસાદની ઘટ છે.આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા અનોખા વિરોધ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કૃષિ મંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે વરસાદની ઘટ છે છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો નથી.
ખેડૂતોની મુખ્ય માગણીઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, સૌની યોજના હેઠળ જિલ્લાના ડેમો અને જળાશયોમાં પાણી ભરવું, પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવી અને આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપવી સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
