જળ એટલે જીવન પરંતુ એ જ જળ ગ્રામજનો માટે દોજખ બની ગયું છે. ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામમાં ગંદા પાણીને શુધ્ધ કરવા માટેનો સુએજ પ્લાન્ટ કાર્યરત છે. અહીં ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરવામાં આવે છે. પરંતુ જળના શુદ્ધીકરણની પ્રક્રિયામાં ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જાસપુરમાં 65 MLDનો નવો સુએજ પ્લાન્ટ બનાવાયો છે. હવે પ્લાન્ટ તો કાર્યરત છે પરંતુ હજુ પાણીની નવી લાઈન નાંખવામાં આવી નથી.જૂની લાઈનમાં જ પાણીનું વહન થાય છે. જેના કારણે લાઈનમાંથી ઓવરફ્લો થઈને પાણી રસ્તા અને ખેતરો પર ફરી વળે છે.
સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી 100 વીઘા જેટલી જમીન પર ફરી વળ્યું છે.ગંદુ પાણી ખેતરમાં ભરાઈ જવાથી પાક બગડવાની ભીતિ છે.ખેડૂતોએ આકરી મહેનત કરીને ઉછરેલા પાક પર પાણી ફરી વળ્યું છે. કપાસ, શાકભાજી, જુવાર સહિતના પાક લેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. કારણ કે ખેતરમાં ગંદા પાણીના કારણે પાક બગડી રહ્યો છે. ખેડૂતોએ આ માટે વારંવાર નેતાઓ અને અધિકારીઓને રજૂઆત કરી છે કે ઓવરફ્લો થતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે પરંતુ સમસ્યા યથાવત છે.