ધોરાજીમાં તંત્રના પાપે ભરઉનાળે લોકો તરસે મરવા મજબુર, 15-15 દિવસે પણ નથી મળતુ પીવાનું પાણી

| Edited By: | Updated on: Apr 05, 2026 | 8:02 PM

રાજકોટના ધોરાજી તાલુકામાં પાણીની સમસ્યા કોઈ જુની વાત નથી. દર ઉનાળે ધોરાજીમાં પાણીની તંગી સર્જાય છે અને સ્થાનિકોને પાણી વિના વલખા મારવા પડે છે. ખાસ કરીને વોર્ડ નંબર 9ના રહીશોને 15-15 દિવસે પણ પાણી નથી મળી રહ્યુ.

ધોરાજીમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વધુ વિકટ બની રહી છે. વર્ષોથી ધોરાજીવાસીઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. હાલ ભર ઉનાળે પણ ધોરાજીવાસીઓને પુરતુ પાણી નથી મળી રહ્યુ. ખાસ કરીને વોર્ડ નંબર 9ના રહીશોને 15-15 દિવસે પણ પાણી નથી મળતુ. તંત્ર દ્વારા દર બે દિવસે પાણી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ વાયદાઓ માત્ર કાગળ પર જ રહ્યા છે અને સ્થાનિકો એ જ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

હાલ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પણ પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ પાણીની સમસ્યા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવતો વીડિયો વાયરલ થતા ધોરાજીમાં માહોલ ગરમાયો છે.

જો કે ચૂંટણી સમયે આ જ અલ્પેશ ઢોલરીયાએ 2 દિવસે પાણી વિતરણકરવાનું વચન આપ્યું હતું જે હાલ પોકળ સાબિત થયુ હોય તેવો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે 15 દિવસથી લોકોને પીવાનું પાણી જ મળ્યું નથી
આ તરફ અન્ય સ્થાનિકો પણ એટલી હદે આક્રોશિત છે કે તેમણે વોર્ડ નંબર 9ના લોકો સાથે જાણી જોઈને ઓરમાયુ વર્તન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે વોર્ડ નંબર 9ના લોકો પણ સમયસર વેરો ભરે છે છતા પાયાની જરૂરિયાત કહેવાય એવા પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. હાલ તો સ્થાનિકોની એક જ માગ છે કે નગરપાલિકા દ્વારા તેમની પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવી તેમને પાણી આપવામાં આવે. હાલ ધોમધખતા તાપ વચ્ચે લોકો તરસે મરવા મજબુર બન્યા છે.

સોનાના ભાવમાં 17 વર્ષનો સૌથી મોટો ઘટાડો… શું આ ખરીદીની શ્રેષ્ઠ તક છે કે હજુ મોટી મંદી બાકી છે?

Published on: Apr 03, 2026 07:58 PM
Follow Us