DEVBHUMI DWARAKA : ખંભાળીયા સહિત આસપાસના ગામોના 30 જેટલા ખેડૂતો વીજળીથી વંચિત, વીજળી નહીં મળે તો કરશે આંદોલન
ખેડૂતો ખંભાળીયા નજીક આવેલા રામનગર સબ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ફક્ત મોટી-મોટી વાતો કરે છે, પરંતુ તેમને વીજળી નથી મળી રહી.
DEVBHUMI DWARAKA : એકતરફ સરકાર ખેડૂતોની વીજળી અને પાણી આપ્યાના બણગા ફૂંકે છે, જ્યારે બીજીતરફ ખેડૂતો વીજળી અને પાણીના પ્રશ્નોથી પરેશાન છે.ગઈકાલે 2 ઓગષ્ટે સંવેદના દિવસની ઉજવણીના ભાગરૂપે ઊર્જાપ્રધાન સૌરભ પટેલ દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં હતા. જ્યાં તેમણે દાવો કર્યો હતો કે ખેડૂતોને દિવસે કામ અને રાત્રે આરામ મળે તે મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. તેમણે દાવો કર્યો કે રાજ્યના 5 હજાર ગામડામાં 24 કલાક વીજળી મળે છે.. અને 2022 સુધીમાં રાજ્યના તમામ ગામોમાં 24 કલાક વીજળી મળતી થઈ જશે..
તો બીજીતરફ ખંભાળિયાના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખંભાળીયા સહિત આસપાસના ગામોના 30 જેટલા ખેડૂતો વીજળીથી વંચિત છે. તેઓ ખંભાળીયા નજીક આવેલા રામનગર સબ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ફક્ત મોટી-મોટી વાતો કરે છે, પરંતુ તેમને વીજળી નથી મળી રહી.
અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે તો તેઓ એવા જવાબ આપે છે કે-મોબાઈલ ચાર્જ થઈ શકે તેટલી વીજળી મળે એટલે ઘણું કહેવાય.અધિકારીઓના આવા વલણથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.જો આગામી સમયમાં તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.