ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ પાસે ચાલી રહેલા ગૌરવ પથના કામમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ!
ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ પાસે ગૌરવ પથના બ્યુટીફિકેશનની કામગીરીમાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. જેને પગલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખુલાસો રજૂ કર્યો છે.
ભુજ શહેરની શાન ગણાતા ઐતિહાસિક હમીરસર તળાવની આસપાસ ચાલી રહેલી વિકાસ કામગીરી હવે રાજકીય વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ આ બ્યુટીફિકેશન પ્રોજેક્ટને લઈને વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે આ ગૌરવ પથની કામગીરીમાં કોઈ જ પારદર્શિતા રાખવામાં આવી નથી અને સ્થાનિક પર્યાવરણને મોટું નુકસાન પહોંચે તે રીતે મનસ્વી વલણ અપનાવીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે પ્રોજેક્ટમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ આ આક્ષેપો સામે આવતા જ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, ભુજમાં ગૌરવ પથનું આ કામ ગાયત્રી મંદિર રોડ પર સરકારની “આઇકોનિક રોડ” યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવ્યું છે. આ આખા બ્યુટીફિકેશન પ્રોજેક્ટનો કુલ ખર્ચ 79 લાખ રૂપિયા છે, અને તેની કામગીરી ‘મારુતિ અભિયાન એજન્સી’ ને સોંપવામાં આવી છે.
અકસ્માત નિવારવા લેવાયો નિર્ણય
રોડ પર બાંધકામને કારણે વાહનચાલકોને થતી મુશ્કેલી અને અકસ્માતના ભય અંગે ચીફ ઓફિસરે જણાવ્યું કે, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને અકસ્માતની શક્યતાઓને નિવારવા માટે ત્યાં બની રહેલી દીવાલની ઊંચાઈ ઘટાડીને 1 મીટર કરી દેવામાં આવી છે, જેથી વાહનચાલકોનું વિઝન ક્લિયર રહે. તંત્રનું કહેવું છે કે કામગીરીના નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવી રહ્યું છે.