Breaking News : વલસાડમાં અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે 474 માર્ગો અને પુલ ઉપર અવરજવર બંધ કરાઈ છે. વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ પાણી ભરાવા, માર્ગ ધોવાઈ જવા તેમજ પુલ-કલ્વર્ટ ઉપરથી પાણી વહેતા હોવાથી 474 માર્ગો અને પુલો પર લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અવરજવર બંધ કરવામાં આવી છે. 474માં પંચાયત હસ્તકના 442 અને સ્ટેટ હસ્તકના 32 માર્ગોનો સમાવેશ થાય છે.
વરસાદને કારણે 474 રસ્તા બંધ
વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશભાઈ પટેલે જણાવ્યું કે, જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત સ્થળોએ રસ્તાઓ બંધ હોવાની સૂચના દર્શાવતા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય અને લોકો જોખમી માર્ગો પર અવરજવર ન કરે. વિભાગ દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ જ્યાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યાં માર્ગોને વહેલી તકે ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય (Trafficable) બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
જોખમી માર્ગો પર અવરજવર ન કરવી
સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ આ માટે સતત કાર્યરત છે.જિલ્લા વહીવટીતંત્ર અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે, બેરિકેડ્સ દૂર ન કરે અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરે. જાહેર જનતાનો સહકાર સુરક્ષા અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.