Breaking News : કમોસમી વરસાદ અને ભારે પવનની સૌથી વધુ અસર બાગાયતી પાકો પર જોવા મળી, જુઓ વીડિયો
મીની વાવાઝોડુ અને માવઠાના કારણે ખેડૂતના પાકને ભારે નુકસાન થયું છે.કમોસમી વરસાદના કારણે ઘઉં અને મકાઈના પાકને ભારે નુકસાન થયા છે. તો બીજી બાજુ ખેડૂતના બાગાયતી પાકને પણ નુકસાન થયું છે.નુકસાની થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.પાક નુકસાન ને લઇ સર્વે કરી વળતર ચૂકવવાની માંગ ખેડૂતોએ કરી છે.
ભરુચના હાંસોટમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી છે. ભારે પવન હુંકાતા ભરુચના હાંસોટમાં ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. બાગાયતી પાકને ખુબ મોટું નુકસાન પહોંચ્યું છે. કેરી, ચીકું, જામફળના બગીચાઓમાં પાકને નુકસાન થયું છે. બાગાયતી પાકમાં ખેડૂતોને 80 ટકા નુકસાન થવાની ભીતિ છે. સરકાર સર્વે કરી અને રાહત પેકેજ આપી તેવી ખેડૂતોએ માંગ કરી છે.
આખા વર્ષની મહેનત પર પાણી
ભરુચના હાંસોટમાં ગામમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હાંસોટા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો બાગાયતી પાક ખરી ગયો છે.ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.
સૌથી વધુ અસર બાગાયતી પાકો પર જોવા મળી
આ કમોસમી વરસાદ અને ભારે પવનની સૌથી વધુ અસર બાગાયતી પાકો પર જોવા મળી છે. ખેડૂતો માટે આ એક મોટું સંકટ છે, કારણ કે ઉભા પાક, ખાસ કરીને ઘઉં જેવા પાકોને ભારે પવનના કારણે જમીનદોસ્ત થવાનો ભય છે. આ ઉપરાંત, કેરીના પાકને પણ નોંધપાત્ર નુકસાન થવાની શક્યતા છે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર સીધી અસર કરશે.અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આનાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થશે.