Breaking News : ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જન પ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળ : ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ
સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, આજે પણ સમાજમાં કેટલીક જૂની માન્યતાઓ અને સામાજિક પરંપરાઓના કારણે દીકરા-દીકરીના વહેલા લગ્ન કરાવી દેવામાં આવે છે. જેના પરિણામે હજુ પોતે બાળપણમાં હોય તેવી કુમળી વયની દીકરીઓ માતા બની રહી છે, જે ગંભીર સામાજિક અને આરોગ્ય સંબંધિત ચિંતાનો વિષય છે.

‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત આયોજિત જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બાળલગ્ન મુદ્દે મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ બાદ હવે વધુ એક ભાજપના વરિષ્ઠ નેતાએ સમાજમાં હજુ પણ ચાલી રહેલી બાળલગ્નની પ્રથાને લઈને ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી છે.
સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, આજે પણ સમાજમાં કેટલીક જૂની માન્યતાઓ અને સામાજિક પરંપરાઓના કારણે દીકરા-દીકરીના વહેલા લગ્ન કરાવી દેવામાં આવે છે. જેના પરિણામે હજુ પોતે બાળપણમાં હોય તેવી કુમળી વયની દીકરીઓ માતા બની રહી છે, જે ગંભીર સામાજિક અને આરોગ્ય સંબંધિત ચિંતાનો વિષય છે.
સરકારી સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, પ્રાંત અધિકારી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ના આધારે કરાયેલા સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમણે જણાવ્યું કે મહેમદાવાદ તાલુકાના કેટલાય ગામોમાં 17 વર્ષની ઉંમરે 18 સગર્ભા દીકરીઓ નોંધાઈ છે, જ્યારે 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય તે પહેલાં જ 48 દીકરીઓ માતા બની ચૂકી છે. આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે આ તમામ કિસ્સાઓમાં બાળલગ્ન થયા છે.
બાળલગ્ન હજુ પણ સમાજ માટે મોટો પડકાર
સાંસદે જણાવ્યું કે, બાળલગ્ન માત્ર કાયદાકીય મુદ્દો નથી, પરંતુ તે બાળકીના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય પર સીધી અસર કરે છે. ઓછી ઉંમરે ગર્ભ ધારણ કરવાથી માતા અને બાળક બંનેના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. તેથી સમાજમાં જાગૃતિ લાવવાની સાથે કાયદાનું અસરકારક પાલન પણ જરૂરી છે.
‘અમે પણ નિષ્ફળ નિવડ્યા’
દેવુસિંહ ચૌહાણે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે, બાળલગ્ન રોકવાના પ્રયાસોમાં માત્ર સમાજ સુરક્ષા વિભાગ જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ તરીકે તેઓ પોતે પણ ક્યાંક નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું, “આ આશરે 50 જેટલા બાળલગ્ન થયા છે. તેમાં સમાજ સુરક્ષા વિભાગ તો નિષ્ફળ રહ્યો જ છે, પરંતુ જનપ્રતિનિધિ તરીકે અમે પણ અમારી જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી શક્યા નથી.”
તમામ પ્રસૂતિ હોસ્પિટલોમાં થવી રાહતની બાબત
સાંસદે જણાવ્યું કે ચિંતાજનક આંકડાઓ વચ્ચે એક સકારાત્મક બાબત એ છે કે મહેમદાવાદ વિસ્તારમાં નોંધાયેલા તમામ પ્રસૂતિ કેસો સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં થયા છે. જેના કારણે માતા અને નવજાત બાળકને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહી છે.
તેમણે સમાજના તમામ વર્ગોને બાળલગ્ન જેવી કુપ્રથાને સંપૂર્ણપણે દૂર કરવા માટે આગળ આવવા અપીલ કરી હતી. સાથે જ કિશોરીઓના શિક્ષણ, આરોગ્ય અને સશક્તિકરણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
