Breaking News: ભાવનગર લઠ્ઠાકાંડ: ઝડપાયેલા 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર, વકીલો કેસ નહીં લડે
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMC દ્વારા ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 13 આરોપીઓને કોર્ટે 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે, જ્યારે સ્થાનિક વકીલ મંડળે આરોપીઓનો કેસ ન લડવાનો ઠરાવ કર્યો છે.
ભાવનગરમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર રઈસ સહિત તમામ 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓની આ કાંડમાં સીધી સંડોવણી છે. મુખ્ય આરોપી રઈસને ઉજ્જૈનથી ઝડપી લેવાયો હતો. લઠ્ઠા માટેનું રો-મટિરિયલ અન્ય રાજ્યોમાંથી મંગાવવામાં આવ્યું હતું. હાલ 21 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.
બીજી તરફ, આ ગંભીર ગુનાને ધ્યાને રાખીને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને લઠ્ઠાકાંડના આરોપીઓનો કેસ ન લડવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે. હાલ ઝેરી દારૂ પીનારા અનેક લોકો સારવાર હેઠળ છે, ત્યારે પોલીસે અપીલ કરી છે કે જે કોઈએ આ દારૂ પીધો હોય તેઓ તાત્કાલિક સારવાર મેળવે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.
