હરિધામ સોખડામાં ગાદી વિવાદ અને ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસના વિવાદ વચ્ચે ઉજવાશે હરિપ્રસાદ સ્વામીની જન્મ જયંતિ
ભવ્ય ઉજવણી માટે મંદિર નજીક સો ફુટ બાય 60 ફુટનો વિશાળ સ્ટેજ તૈયાર કરાયો છે. જ્યાં ઠાકોરજીની પધરામણી કરાશે. આ કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપ સ્વામી સહિત અનેક સંતો-મહંતોની હાજરી હશે.
ગાદી વિવાદ અને ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસના વિવાદ વચ્ચે હરિધામ સોખડામાં ઉજવાશે હરિપ્રસાદ સ્વામીની જન્મ જયંતિ. પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના 88મા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના માટે મંદિરના સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ પણ કરી દેવામાં આવી છે. 11મી મેના દિવસે થનાર જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીમાં દેશ-વિદેશના હરિભક્તો જોડાશે. મહત્વપૂર્ણ છે કે વૈશાખ સુદ દશમનો દિવસે અક્ષરવાસી હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે.
ત્યારે 88મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે સોખડામાં થનારી ઉજવણી પર નજર કરીએ તો હરિપ્રસાદ સ્વામીને પ્રિય એવા શ્રીમદ ભગવદ ગીતાના પાઠ અને યજ્ઞ કરાશે. તો 88મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે 88 જોડાઓ યજ્ઞમાં આહૂતિ આપશે. આ યજ્ઞનો હેતુ વિશ્વમાં શાંતિ સ્થપાય તેવો છે. તો ભવ્ય ઉજવણી માટે મંદિર નજીક સો ફુટ બાય 60 ફુટનો વિશાળ સ્ટેજ તૈયાર કરાયો છે. જ્યાં ઠાકોરજીની પધરામણી કરાશે. આ કાર્યક્રમમાં પ્રેમસ્વરૂપ સ્વામી સહિત અનેક સંતો-મહંતોની હાજરી હશે. તો દેશ-વિદેશથી આવતા હરિભક્તો માટે પાર્કિગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જન્મ જયંતિ મહોત્સવમાં દેશ-વિદેશના 50 હજાર હરિભક્તો જોડાય તેવો દાવો કરાયો છે.
મહત્વપૂર્ણ છે કે પાછલા લાંબા સમયથી સોખડાના સંતો ચર્ચામાં છે. ગાદી અને સંપત્તિનો વિવાદ ચરમસીમા પહોંચ્યો છે. તો સમગ્ર વિવાદ હાઇકોર્ટમાં છે. બીજી તરફ ગુણાતીત સ્વામીના અપમૃત્યુનો વિવાદ પણ ચાલી જ રહ્યો છે. આવા સમયે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા કરાયેલ આયોજન શક્તિપ્રદર્શનનો પણ ભાગ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.