ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગતની આંખ ઉઘાડતો કિસ્સો, સર્વેમાં 6000થી વધુ બાળકોએ ભણવાની જ પાડી દીધી ના!
શિક્ષણના અધિકારને સાર્થક કરવા ભરૂચ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરાયેલા ખાસ પ્રી-સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આર્થિક સંકડામણ અને વાલીઓની બેદરકારીના કારણે બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં શાળા છોડી દેનારા (ડ્રોપઆઉટ) બાળકોના વધતા ગ્રાફે શિક્ષણ તંત્રની ચિંતામાં મોટો વધારો કર્યો છે. શિક્ષણના અધિકાર (RTE) ને 100 ટકા સાર્થક કરવાના હેતુથી જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા એક ખાસ પ્રી-સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વર્ષ 2025-26 માટે કરાયેલા આ સર્વેમાં 75 હજારથી વધુ વિદ્યાર્થીઓનો ડેટા ચકાસીને છેલ્લા ત્રણ વર્ષમાં શાળા છોડી ચુકેલા 16 હજારથી વધુ બાળકોની યાદી તૈયાર કરાઈ હતી. તંત્ર આમાંથી 95 ટકા બાળકોનો સંપર્ક કરવામાં સફળ રહ્યું હતું, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી 6,000થી વધુ બાળકોએ ફરી ભણવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
તપાસમાં સામે આવ્યું છે કે, ઘરની નબળી પરિસ્થિતિ, આર્થિક સંકડામણ અને માતા-પિતાની બેદરકારીના કારણે આ માસૂમોએ અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો હતો. જોકે, શિક્ષણ વિભાગના સઘન કાઉન્સેલિંગ બાદ 1,497 બાળકો ફરીથી શાળાએ જવા તૈયાર થયા છે.
હાલમાં તંત્ર પૂરેપૂરું એક્શન મોડમાં આવ્યું છે અને અધિકારીઓ બાળકોના ઘરે-ઘરે જઈને તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે જ, આ બાળકો ધોરણ 12 સુધીનો અભ્યાસ કોઈપણ અવરોધ વિના પૂરો કરે તે માટે જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.