ભાજપના નેતા સામે ₹1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદથી ખળભળાટ, સહદેવસિંહ જાડેજા સહિત 9 લોકો સામે ગુનો નોંધાયો – જુઓ Video
રાજકોટ જિલ્લા ભાજપના નેતા અને પૂર્વ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સામે ₹1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ખાણ ખનીજ વિભાગે ગોંડલના ભૂણાવા ગામે સરકારી જમીનમાંથી થયેલી ચોરી બદલ આ કાર્યવાહી કરી છે.
રાજકોટમાં ભાજપના નેતા સામે ₹1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સહિત 9 લોકો સામે ખનીજ ચોરીના આરોપ હેઠળ ખાણ ખનીજ વિભાગે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ કેસમાં ભૂણાવા ગામની સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સહદેવસિંહ જાડેજાએ વિપક્ષી નેતા પર નાણાં માંગવાના આક્ષેપ કર્યા હતા પરંતુ હવે તેમની પોતાની સામે જ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
રાજકોટમાં ખનીજ ચોરીની ફરિયાદ બાદ સહદેવસિંહ જાડેજાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, વિપક્ષી નેતા વિક્રમસિંહ જાડેજાના ઈશારે અને રાજકીય કિન્નાખોરી રાખીને આ ફરિયાદ કરવામાં આવી છે.
સહદેવસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમની પાસે કોઈ જેસીબી (JCB) કે ડમ્પર જ નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓ પોલીસને તપાસમાં પૂર્ણ સહયોગ આપવા તૈયાર છે અને આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય લડત લડશે.