ભાજપ બાદ હવે કોંગ્રેસનો પણ ઉધડો, પ્રચારમાં નીકળેલા ઉમેદવાર સામે લોકોએ ઠાલવ્યો રોષ – જુઓ Video
ભાવનગરમાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે પરંતુ તેની સાથે જ જનતાનો ભારે આક્રોશ પણ સામે આવી રહ્યો છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ પણ સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું છે.
ભાવનગર શહેરમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોએ સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે. ભાવનગરની ઘણી સોસાયટીઓમાં પાયાની સુવિધાઓના અભાવે લોકો દ્વારા મતદાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
શહેરની સ્વપ્ન શિલ્પ સોસાયટીમાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે લોકોએ તેમની સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, પાયાની સુવિધાઓ ન મળતી હોવાને કારણે તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓ “ભાજપ કે કોંગ્રેસ” કોઈ પણ પક્ષને મત આપવા તૈયાર નથી.
સ્થાનિકોએ રોષે ભરાઈને કહ્યું કે, “મહેરબાની કરીને અહીંયા કોઈએ પ્રચાર માટે આવવું નહીં.” સુવિધાઓના અભાવે લોકોએ પોતાની વ્યથા ઠાલવતા ઉમેર્યું હતું કે, “અમને એવું લાગે છે કે, અમે જંગલમાં રહીએ છીએ.” આમ, ભાવનગરમાં પાયાની સુવિધાઓના મુદ્દે જનતા બંને મુખ્ય પક્ષો સામે લાલઘૂમ જોવા મળી રહી છે.