Bharuch : પોલીસ પરિવારના બે સભ્યોના અકાળ અવસાનથી ગમગીની છવાઈ, જુઓ Video

| Updated on: Jan 22, 2026 | 1:21 PM

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી ગણતરીના સમયમાં એકપછી એક બે મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચતા ખળભળાટ મચ્યો હતો. બે અલગ અલગ ઘટનાઓમાં પોલીસ પરિવાર બે સભ્યો ગુમાવતા ગમગીની ફેલાઈ હતી

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી ગણતરીના સમયમાં એકપછી એક બે મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચતા ખળભળાટ મચ્યો હતો. બે અલગ અલગ ઘટનાઓમાં પોલીસ પરિવાર બે સભ્યો ગુમાવતા ગમગીની ફેલાઈ હતી

મહિલા પોલીસકર્મીની ઘરમાં લટકતી લાશ મળી

મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ ઉદેસિંહ પરમાર દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગત રાત્રિના સમયે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.

મૃતક કોન્સ્ટેબલ પ્રીતિ ઉદેસિંહ પરમાર મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના વતની હતા અને છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ પોલીસબેડામાં LIB શાખામાં ફરજ બજાવી રહ્યા હતા.મહિલાના આપઘાતનું કારણ હાલ અકબંધ છે.

પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ASI ના યુવાન પુત્રનું મોત

બીજી તરફ આજે સવારે પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડની કસરત વખતે એક યુવાનની તબિયત અચાનક લથડી હતી. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર શરૂ થાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

મૃતક યુવાનની ઓળખ 25 વર્ષીય રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તરીકે થઈ છે. તેઓ PSI ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા અને ત્રીજા રાઉન્ડની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક ઢળી પડ્યા હતા. રવિરાજસિંહના પિતા વડોદરા ખાતે SRP ગ્રુપ-1માં ASI તરીકે ફરજ બજાવે છે.

બે સભ્યોના અકાળે અવસાનથી પોલીસ પરિવારની આખો ભીંજાઈ

પોલીસ પરિવારના યુવાનના અચાનક અવસાનથી ત્યાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાવુક બની ગયા હતા. બંને ઘટનાઓમાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.