Breaking News: સુરત AAPમાં ફરી આંતરિક વિવાદ ! ટિકિટ મળવા છતાં ઉમેદવારે આપ્યુ રાજીનામું, કોંગ્રેસમાં જોડાયા
પ્રીતિ સદાદીયાએ પોતાના રાજીનામું આપ્યા બાદ પક્ષના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા કેટલાક હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ રસ ધરાવે છે
સુરત શહેરમાં આમ આદમી પાર્ટી (AAP)માં ફરી એકવાર આંતરિક વિવાદ સામે આવ્યો છે. પક્ષ દ્વારા ટિકિટ અપાયા બાદ પણ પ્રીતિ સદાદીયા નામના ઉમેદવારે અચાનક રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
AAPમાં ફરી એકવાર આંતરિક વિવાદ
મળતી માહિતી મુજબ પ્રીતિ સદાદીયાએ પોતાના રાજીનામું આપ્યા બાદ પક્ષના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા કેટલાક હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ રસ ધરાવે છે,” જેના કારણે તેઓ અસંતોષ અનુભવતા હતા.
7માં વોર્ડમાંથી ટિકિટ ના આપતા આપ્યું રાજીનામું
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ વોર્ડ નંબર 7માં સક્રિય રીતે કામગીરી કરી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને વોર્ડ નંબર 12માંથી ટિકિટ આપી. આ નિર્ણયથી તેઓ અસંતુષ્ટ છે અને અંતે રાજીનામું આપવાનો નિર્ણય લીધો.આ ઘટનાએ પાર્ટીના આંતરિક વ્યવસ્થાપન પર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે, જે આગામી ચૂંટણીમાં પાર્ટી માટે પડકારરૂપ બની શકે છે.
AAPમાંથી રાજીનામાં બાદ કોંગ્રેસમાં જોડાયા
જો કે રાજીનામું આપ્યા બાદ પ્રીતિ સદાદીયા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તેમના આ નિર્ણયથી સુરતના રાજકારણમાં નવા સમીકરણો ઉભા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં આ પ્રકારના વિવાદો પર નિયંત્રણ ન લાવવામાં આવે તો AAPને સ્થાનિક સ્તરે નુકસાન વેઠવું પડી શકે છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે લાભદાયી બની શકે છે.

