ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વડોદરામાં પણ મુશળધાર વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવ્યુ હતું. આજે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાયું છે. આવક બંધ થઈ હોવા છતાં વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
વડોદરાના વડસર, કલાલી, મુજ મહુડા, સયાજીગંજમાં પાણી ભરાયેલા છે. વેમાલી, હરણીમાં પણ પાણીનો ભરાવો થયો છે. NDRF, SDRFની વધુ ટીમોની જરૂરિયાત ઉભી થઈ હોવા તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ઓસરતા હજૂ પણ સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હરણી મોટનાથ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે.
ભારે વરસાદના પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં બે દિવસથી વિજપુરવઠો ખોરવાયો છે. પીવાના પાણી વિના અનેક વિસ્તારોમાં લોકો ટળવળતા જોવા મળ્યા છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખૂટી રહી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સલામત વિસ્તારોમાં રહેતા સાગા સંબંધીઓ પહોંચી રહ્યા છે. પરંતુ પાણી ભરાયેલા હોવાના કારણે મદદ માટે જઈ શકતા નથી. તંત્ર મદદે આવી તેવી લોકો પુકાર કરી રહ્યાં છે.