અમદાવાદનો ઐતિહાસિક સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, હવે 8 લેનનો આધુનિક બ્રિજ બનશે

| Edited By: | Updated on: Jun 24, 2026 | 5:18 PM

સુભાષ બ્રિજના પિલર અને સ્પાનમાં તિરાડો જોવા મળતાં AMCએ બ્રિજને સંપૂર્ણપણે તોડી નવા 8 લેનના આધુનિક બ્રિજનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. IIT રૂડકીના રિપોર્ટ બાદ લેવાયેલા આ નિર્ણયથી પ્રોજેક્ટનો સમયગાળો 14 મહિના સુધી લંબાઈ શકે છે.

અમદાવાદના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સુભાષ બ્રિજને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજના પિલરો અને સ્પાનમાં તિરાડો જોવા મળતાં હવે સમગ્ર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડીને તેના સ્થાને નવો અને આધુનિક 8 લેનનો બ્રિજ બનાવવામાં આવશે. AMC કમિશ્નરે આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

સુભાષ બ્રિજની હાલત અંગે બ્રિજ નિષ્ણાતોની ટીમ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ IIT રૂડકી દ્વારા તૈયાર કરાયેલા અંતિમ રિપોર્ટમાં સ્પષ્ટ ભલામણ કરવામાં આવી હતી કે બ્રિજના માત્ર સ્પાન જ નહીં પરંતુ પિલરો પણ તોડી પાડવા જરૂરી છે. અગાઉ AMC દ્વારા માત્ર સુપરસ્ટ્રક્ચર એટલે કે સ્પાન તોડીને પિલરો યથાવત રાખવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ નવી ટેક્નિકલ તપાસ બાદ સંપૂર્ણ બ્રિજ તોડવાનો નિર્ણય લેવાયો છે.

અહેવાલ મુજબ બ્રિજના સ્પાન પર દોઢથી બે ઇંચ સુધીની તિરાડો નોંધાઈ હતી. આ કારણસર બ્રિજની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ હતી. રિપેરિંગ પાછળ અંદાજે ₹236 કરોડનો ખર્ચ થવાનો હતો અને કામ પૂર્ણ કરવામાં લગભગ 9 મહિના લાગી શકતા હતા. જોકે હવે નવા બ્રિજના નિર્માણનો નિર્ણય લેવાતા ખર્ચમાં વધારો થશે તેમજ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 14 મહિનાનો સમય લાગી શકે છે.

નવા પ્રોજેક્ટ અંતર્ગત 4 લેનના હાલના બ્રિજને 8 લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે. સાથે નવા 7 પિલરનું પણ નિર્માણ થશે. હાલમાં જૂના બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. AMCનું માનવું છે કે લાંબા ગાળાની સલામતી અને વધતી ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

Breaking News: ભારત માટે રાહતના સમાચાર! હોર્મુઝથી LPG અને ક્રૂડ ઓઇલ ભરેલા 11 જહાજ સુરક્ષિત રીતે પસાર, ઊર્જા પુરવઠાની ચિંતા ઘટી

Follow Us