ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- ચૈતર વસાવાએ સરકારી અધિકારી પાસે 75 લાખ માંગ્યા, ચૈતર વસાવાએ કહ્યું-પીએમ મોદીની સભામાં ભાજપના મળતિયાને બખ્ખેબખ્ખા

| Edited By: | Updated on: Dec 22, 2025 | 6:51 PM

ભરૂચના સાંસદ અને ડેડીયાપાડાના ધારાસભ્ય સામસામે આવી ગયા છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર સરકારી અધિકારી પાસે રૂપિયા 75 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે ચૈતર વસાવાએ પડકાર ફેકતા કહ્યું કે, સરકારી અધિકારી પાસે રૂપિયા માંગ્યા હોવાના પુરાવા વસાવા પુરા પાડે, ચૈતર વસાવાએ પ્રતિ આક્ષેપ કરતા કહ્યું કે, વડાપ્રધાનના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના ખોટા બિલ ઉધારવામાં આવ્યા છે. આ મુદ્દે આંદોલન કરાશે.

ભરૂચના ભાજપના લોકસભાના સાંસદ મનસુખ વસાવા એ, આક્ષેપ કરતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી મોદી પાસે રૂપિયા 75 લાખ લાંચ સ્વરૂપે માગ્યા છે. મનસુખ વસાવાએ એમ પણ કહ્યું કે, માર્ગ મકાન વિભાગના અધિકારી મોદીએ, જિલ્લા કલેકટરને આ બાબતે કહ્યું હતું અને જિલ્લા કલેકટરે આ સમગ્ર વાત સાંસદ મનસુખ વસાવાને કરી. સાંસદ મનસુખ વસવાએ એમ પણ કહ્યું કે, સરકારી અધિકારીને સલાહ આપવામાં આવી છે કે, એક પણ રૂપિયો ચૈતર વસાવાને આપવો નહીં.

મનસુખ વસાવાએ એમ પણ કહ્યું કે, ચૈતર વસાવા પહેલા અધિકારીઓ પાસે માહિતી માગે છે અને પછી તોડપાણી કરવાનું કામ કરે છે. આ જ એનું મુખ્ય કામ છે. રૂપિયા 75 લાખ માંગ્યા હોવાની જિલ્લા કલેકટરે મને અને જિલ્લા ભાજપ પ્રમુખનીઉપસ્થિતિમાં કરી હતી. કલેક્ટર નામ જોગ ખોટું થોડું કહેવાના છે તેવો પ્રતિ પ્રશ્ન પણ સાંસદ વસાવાએ કર્યો હતો.

આની સામે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતવ વસાવાએ, મનસુખ વસાવા અને ભાજપને ખુલ્લો પડકાર કર્યો છે કે, રુપિયા માગ્યા હોવાનો પુરાવો રજૂ કરે. સાંસદ તો ગમે તે બોલે એ સાચુ થોડુ હોય. મારા મોબાઈલની કોલ ડિટેઈલ મંગાવે અને તે જાહેર કરે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. ચૈતર વસાવાએ એવો આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાનની જાહેરસભામાં પાણીના કરોડોના બિલ ઉધારવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય કામો પણ ભાજપના મળતિયાની એજન્સીને આપીને રૂપિયા ચુકવાયા છે. જો ખોટી રીતે ચૂકવાયેલા બિલ એક સપ્તાહમાં પાછા નહીં લેવામાં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો