અમદાવાદથી સૌરાષ્ટ્ર જવાનો નેશનલ હાઈવે ફરી થયો શરૂ, મુસાફરોએ લીધો રાહતનો શ્વાસ- Video
અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા મુસાફરોને રાહત થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ બગોદરા વાયા બાવળાનો હાઈવે બંધ હોવાથી મુસાફરોને ધોલેરા રોડ થઈને જવુ પડતુ હતુ. જો કે આ હાઈવે ફરી પૂર્વવત થતા હવે મુસાફરોને 50 થી 60 કિમીનું અંતર વધુ નહીં કાપવુ પડે.
છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ અને આસપાસના પંથકમાં ભારે વરસાદને પગલે અમદાવાદ બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર જતા મુસાફરો અટવાયા હતા અને રાજકોટથી અમદાવાદ આવતા કે અમદાવાદથી રાજકોટ જતા લોકોને ધોલેરા રોડ થઈને વેજલકા ગામથી બગોદરા થઈને જવુ પડતુ હતુ. જેમા 60 કિલોમીટર ફરવુ પડતુ હતુ. ત્યારે અમદાવાદથી બગદોરાનો નેશનલ હાઈવે ફરી શરૂ થતા સૌરાષ્ટ્ર જતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
બગોદરા હાઈવે પર મોટી માત્રામાં પાણી ભરાયા હોવાથી આ રસ્તો બંધ કરાયો હતો, હવે સનાથલ ચોકડીથી બગોદરા રોડ પરનું પાણી ઓસરતા હાઈવે ફરી શરૂ થયો છે. સૌરાષ્ટ્ર તરફ જતા વાહનચાલકો હવે અમદાવાદથી બગોદરા વાયા બાવળા થઈ જઈ શકશે. હાઈવે પર પાણી ઓસરી જતા વાહનવ્યવહાર પૂર્વવત થયો છે. ધોળકા એક્સપ્રેસ હાઈવે પરથી ડાયવર્જન હટાવાયુ છે. સૌરાષ્ટ્ર જતા વાહનો હવે મુખ્ય હાઈવે પરથી પસાર થશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ઈમરજન્સીની સ્થિતિમાં 112 નંબર પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે. આ હાઈવે ફરી શરૂ થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
Input Credit- Harin Matravadia
