Ahmedabad: હાટકેશ્વર બ્રિજ પર આ વર્ષમાં ચોથુ ગાબડુ પડ્યુ, કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો

|

Feb 20, 2022 | 8:06 AM

અમદાવાદના હાટકેશ્વરમાં આવેલો આ બ્રિજ 2017માં બનાવવામાં આવ્યો છે. છતાં પાંચ વર્ષના ગાળામાં જ બ્રિજના કાંકરા ખરવા માંડ્યા છે. તેમજ આ વખતે બ્રિજની આરપાર ગાબડાં પડ્યા છે. જેનું તાત્કાલિક સમારકામ પણ કરાયું છે.

અમદાવાદ (Ahmedabad)ના ખોખરા અને સીટીએમ વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર વધુ એક ગાબડું પડ્યું છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ(Hatkeshwar Bridge) પર વર્ષમાં આ ચોથું ગાબડું પડતા કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ગાબડું પડતા બ્રિજનો એક તરફનો ભાગ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. થોડાક મહિના પહેલા આ જ ઓવરબ્રિજ પર RCCના બનેલા રોડના પુલની ઉપર વચ્ચે ગાબડાં પડ્યા હતા.

હાટકેશ્વર બ્રિજ પર અગાઉ પડેલા ગાબડાઓની બાજુમાં વધુ એક ગાબડું પડતા બ્રિજના રોડ બનાવવાની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (Corporation) દ્વારા બ્રિજ પર ગાબડું પડતા તેની પર પતરાની આડાશો મૂકીને ચારે બાજુ બેરીકેડ કરવામાં આવ્યું છે. અવારનવાર આ રીતે ગાબડાં પડતાં અનેક સવાલો ઉભા થયા છે.

અમદાવાદના હાટકેશ્વરમાં આવેલો આ બ્રિજ 2017માં બનાવવામાં આવ્યો છે. છતાં પાંચ વર્ષના ગાળામાં જ બ્રિજના કાંકરા ખરવા માંડ્યા છે. તેમજ આ વખતે બ્રિજની આરપાર ગાબડાં પડ્યા છે. જેનું તાત્કાલિક સમારકામ પણ કરાયું છે. ત્યારે હાટકેશ્વર સહિતના શહેરના ઘણા બ્રિજ જનતા માટે મોતનું કારણ પણ બની શકે છે. છતાં સત્તાધીશો માત્ર પોતાની બેદરકારી છૂપાવવાનું જ બહાનું શોધી રહ્યા છે.

બીજીબાજુ કોર્પોરેશનના એન્જિનિયર દ્વારા ગાબડાને લઇને નિવેદન આપવામાં આવ્યું છે કે, શહેરના બ્રિજ હેવી વાહન માટે નથી બન્યા. આમ છતા રાત્રી દરમિયાન હેવી વાહન બ્રિજ પરથી પસાર થતા હોય છે. જેના કારણે બ્રિજ પર ગાબડા પડી રહ્યા છે.

આ પણ વાંચો-

ગુજરાતમાં ગરમીનો પારો વધવાની શરૂઆત , આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી

આ પણ વાંચો-

Ahmedabad Bomb Blast: અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં જશે મૌલાના અરશદ મદની

 

Next Video