ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અકસ્માતની ઘટના બની છે. બનાસકાંઠા, સુરતના પાંડસરામાં અને બારડોલી પંથકમાં પણ અકસ્માત સર્જાયા છે. બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ધાનેરાના ખીમત પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. મોડી રાત્રે અકસ્માતમાં બાઈક સવાર 4માંથી 3ના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. અન્ય યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકો નવરાત્રી જોઈ પરત ફરતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. પાંથાવાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
સુરતના પાંડેસરા BRTS રૂટમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર સામે અકસ્માતની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા શખ્સને BRTS ચાલકે અડફેટે લીધો હતો. ઘટના બનતાની સાથે જ અકસ્માતનો ભોગ બનનાર પીડિતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત થતા જ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સુરતના બારડોલીના બાબેન ગામની સીમમાં કારનો અકસ્માત થયો છે. શ્વાન વચ્ચે આવી જતા કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં પાંચ લોકો પૈકી એકનું મોત થયુ છે. પાંચેય યુવકો કેટરસના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યુ છે. યુવકો ગરબા રમવા માટે જઈ રહ્યાં હતા ત્યારે 5 યુવક પૈકી 3 મહારાષ્ટ્રના અને 2 નવસારીના હોવાનું સામે આવ્યુ છે. ઘટનામાં 5 પૈકી એકનું મોત થયુ છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.