આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વિરુદ્ધ 30 નિવૃત IPS અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલ દેશની પોલીસ (Police) સાથે ગેરવર્તણુક કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. અમદાવાદમાં રિક્ષા સવારી દરમિયાન પોલીસ અધિકારી સાથે કરેલી ગેરવર્તણુકનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધિકારીએ સલામતી આપવા સામે કેજરીવાલે દુ:ખદાયક શબ્દો ઉચ્ચાર્યા હોવાનો નિવૃત IPS અધિકારીએ આરોપ લગાવ્યો છે. અધિકારીઓએ સલામતીનો મુદ્દો ઉઠાવ્યો છે સાથોસાથ અમદાવાદમાં રિક્ષામાં સવારી દરમિયાન પોલીસકર્મી સાથેની વાતચીતનો જે વીડિયો સામે આવ્યો હતો એ ઘટનાનો ઉલ્લેખ પણ નિવૃત અધિકારીઓએ પોતાના પત્રમાં કર્યો છે.
કેજરીવાલની અમદાવાદની મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ સાથેની ગેરવર્ણતુકને લઈને દેશના 30થી વધુ પૂર્વ આઈપીએસ અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. પત્રમાં આરોપ લગાવ્યો છે કે, માત્ર રાજકીય પ્રસિદ્ધિ મેળવવા કેજરીવાલે પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તણુક કર્યા છે. કેજરીવાલના વ્યવહારથી પોલીસ વિભાગમાં દુઃખની લાગણી હોવાની પણ રજૂઆત કરી હતી. પૂર્વ અધિકારીઓનું આ જૂથ પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ એક્ટિવ હતું. આ પહેલા પણ દેશના 56 પૂર્વ સનદી અધિકારીઓએ આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરી હતી.આ પૂર્વ અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલે સરકારી અધિકારીઓને કથિત રીતે આમ આદમી પાર્ટીના પક્ષમાં કામ કરવા માટે ઉકસાવ્યા જેથી કરીને ચૂંટણીમાં પાર્ટીને જીત મળી શકે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી એસ.પી. વૈધએ જણાવ્યુ કે આ પત્રમાં જણાવ્યુ છે કે કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી અગર ક્યાંય જઈ રહ્યા હોય તો પોલીસની એક જવાબદારી રહે છે કે તેમની સિક્યોરિટી સુનિશ્ચિત કરવાની. પોલીસવાળા તેમના પ્રોટોકોલ મુજબ તેમનુ કામ કરતા હોય છે આથી તેમની સાથે કોઈ પણ ગેરવર્તણુક ન કરી શકે. ચાહે તે કોન્સ્ટેબલ હોય કે સિનિયર અધિકારી હોય તે માત્ર પ્રોટોકોલ અનુસાર તેનુ કામ કરતા હોય છે. તેને રાજકીય રંગ ન આપવો જોઈએ. આપને જણાવી દઈએ કે કેજરીવાલ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ રિક્ષાચાલકના ઘરે તેની જ રિક્ષામાં બેસીને ભોજન લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીએ પૂછપરછ કરતા અરવિંદ કેજરીવાલ અકળાઈ ગયા હતા.
બીજી તરફ ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ગુજરાતના સરકારી કર્મચારીઓને અંદરખાને ‘AAP’નો પ્રચાર કરવા અપીલ કરી છે..વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું, વિધાનસભા ચૂંટણીમાં AAPને જીત મળી શકે છે તે માટે તમામ સરકારી કર્મચારીઓ પ્રચાર કરે..
Published On - 7:33 pm, Tue, 20 September 22