Gandhinagar : કલોલમાં કોલેરાથી 9 વર્ષીય બાળકીનું મોત, છેલ્લા 4 દિવસમાં 4 લોકોના મોત
ગાંધીનગરના કલોલમાં કોલેરાએ (Cholera) ભરડો લીધો છે. કોલેરાને કારણે 9 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે.
કલોલના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત (Cholera) જાહેર કરતાં હવે આ વિસ્તારમાં રહેતાં સ્થાનિકોમાં ડર પેસી ગયો છે. પાણીનો સપ્લાય બંધ કરી અને ટેન્કર મારફતે તંત્ર પાણી પહોંચાડી રહ્યું છે. તો બીજી તરફ 10 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતાં આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. સર્વે કરવા માટે કલોલ નગર પાલિકાની (Kalol Nagar Palika ) આરોગ્ય ટીમ ઓછી પડી છે. ત્યારે આસપાસના વિસ્તારમાંથી સર્વે કરવા આરોગ્ય ટીમ મંગાવવાની તંત્રને ફરજ પડી છે.
કલોલ પૂર્વમાં ઝાડા-ઊલ્ટીના કેસમાં વધુ એક 9 વર્ષની બાળકીનું મોત થયું છે. પાણીજન્ય રોગચાળો કલોલ મધ્યમાં પણ વકર્યો છે. કોલેરાએ નવા વિસ્તારોને ઝપેટમાં લેવાની શરૂઆત કરી છે. પાણીના નમૂનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 344 નમૂનામાંથી 252 સેમ્પલમાં ક્લોરિનનો નેગેટિવ રીપોર્ટ આવ્યો છે. કોલેરાને પગલે રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. છેલ્લાં 4 દિવસ દરમિયાન ઝાડા – ઊલ્ટીને કારણે 3 બાળક સહિત 4 લોકોના મોત નીપજ્યાં છે.