અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ લોકો સાથે ખેડૂતોની ચિંતાઓ પણ વધારી દીધી છે. ગરમીના માહોલ વચ્ચે અચાનક આવેલા આ કમોસમી વરસાદે વડીયા અને બગસરા પંથકમાં માહોલ બદલી નાખ્યો. સવારે તાપમાન સામાન્ય હતું, પરંતુ બપોર બાદ આકાશમાં ઘેરાયેલા કાળા વાદળોએ પરિસ્થિતિ બદલાવી દીધી.
બગસરા શહેરમાં તો દ્રશ્ય વધુ ચોંકાવનારું રહ્યું, જ્યાં વરસાદ સાથે કરા પણ પડ્યા. અચાનક પડેલા કરાના મારથી વાહનો, ઝાડો અને ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાતા લોકોમાં અચંબો સાથે ચિંતા પણ જોવા મળી.
બગસરા પંથકના શાપર અને સુડાવડ જેવા ગામોમાં પણ માવઠું નોંધાયું, જેના કારણે ખેતી કરતા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે. આ સમયે પાક પકવાની સ્થિતિમાં હોય છે, ત્યારે આવા વરસાદથી પાકને સીધી અસર પહોંચે છે. બીજી તરફ વડીયા શહેર, મોરવાડા અને બાંટવા દેવળી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, પરંતુ આ ઠંડક ખેડૂતો માટે ચિંતા લઈને આવી છે.
હવામાન વિભાગે અગાઉથી માવઠાની આગાહી કરી હતી, છતાં અચાનક પડેલા આ વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. ખાસ કરીને ખેડૂત વર્ગ માટે આ પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે, કારણ કે આ કમોસમી વરસાદ ઉનાળુ પાક લેતા ખેડૂતો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. ખાસ કરીને બાગાયતી પાકો અને તેમાં પણ કેરીના પાકને વ્યાપક નુકસાન થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ માવઠાના કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોને આર્થિક ફટકો પડવાની આશંકા છે.
હાલમાં લોકો આકાશ તરફ નજર રાખીને આગામી દિવસોમાં હવામાન કેવી રીતે રહેશે તેની રાહ જોઈ રહ્યા છે. જો આવું માવઠું ચાલુ રહેશે, તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે છે. તેથી ખેડૂતો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે હવામાન ઝડપથી સ્થિર બને અને તેમની મહેનત પર પાણી ન ફરી વળે.
ઘર ખરીદતા પહેલાં આ ભૂલો કરશો, તો જીવનભરનો પસ્તાવો! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો