
ભારતના મોટાભાગના શહેરો અત્યારે ભીષણ હીટવેવ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. બપોરના સમયે ઘરની છતો એટલી ગરમ થઈ જાય છે કે જાણે નીચેના રૂમ કોઈ ભઠ્ઠીની જેમ તપવા લાગે છે. પરિણામે લોકોએ ચોવીસ કલાક એસી અને કૂલર ચાલુ રાખવા પડે છે, જેનાથી લાઈટ બિલ આસમાને પહોંચી જાય છે. આ ગંભીર સમસ્યાનો એક ખૂબ જ ટકાઉ, સસ્તો અને પર્યાવરણને અનુકૂળ દેશી જુગાડ શોધી કાઢ્યો છે જયપુરના એક સ્ટાર્ટઅપે, જેની પ્રશંસા ખુદ દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર કરી છે.
આનંદ મહિન્દ્રાએ આ અનોખી પહેલનો એક વીડિયો શેર કરતા જણાવ્યું છે કે, ભારતમાં હવે કાળઝાળ ગરમી કોઈ સામાન્ય ઘટના નથી રહી, પરંતુ તે આપણી રોજિંદી જિંદગીનો ભાગ બની ગઈ છે. આવી સ્થિતિમાં પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગર ઘરનું તાપમાન ઘટાડવાનો આ સૌથી શ્રેષ્ઠ આઈડિયા છે. આવો વિગતવાર સમજીએ કે આ ટેકનોલોજી શું છે અને તે કેવી રીતે કામ કરે છે,
આ ગ્રીન ક્રાંતિની શરૂઆત ‘લિવિંગ ગ્રીન ઓર્ગેનિક્સ’ (Living Green Organics) નામના જયપુર સ્થિત એક સ્ટાર્ટઅપે કરી છે. આ કંપની ઘરની છત પર ‘પોર્ટેબલ રૂફટોપ ગાર્ડનિંગ સિસ્ટમ’ સેટ કરી આપે છે. આ કોઈ સામાન્ય કુંડા મૂકવાની રીત નથી, પરંતુ તેમાં લીક-પ્રૂફ કન્ટેનર, ખાસ વોટર ડ્રેનેજ સિસ્ટમ અને ટપક સિંચાઈનું આખું નેટવર્ક ગોઠવવામાં આવે છે. આના કારણે ઘરના સ્લેબ કે છતને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર ધાબા પર સરળતાથી ખેતી કરી શકાય છે.
જયપુર અને અમદાવાદ જેવા શહેરોમાં ઉનાળા દરમિયાન તાપમાન 40 થી 45 ડિગ્રીની આસપાસ પહોંચે છે, ત્યારે કોંક્રીટની બનેલી છત આખો દિવસ ગરમીને શોષી લે છે. આ સ્ટાર્ટઅપનું મોડલ છત પર માટી, વનસ્પતિ અને હરિયાળીનું એક કુદરતી પ્રોટેક્ટિવ લેયર બનાવી દે છે. આ લીલોતરી એક નેચરલ ઇન્સ્યુલેશન સિસ્ટમ તરીકે કામ કરે છે, જેના કારણે સૂર્યના આકરા કિરણો સીધા છતને ગરમ કરી શકતા નથી. પરિણામે, બપોરની કાળઝાળ ગરમીમાં પણ ઘરની અંદરનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટી જાય છે અને વીજળીનો વપરાશ પણ ખૂબ ઓછો થાય છે.
We still don’t know enough about the full consequences of climate change.
But we do know this: intense heat waves in India are no longer exceptions. They’re becoming a way of life.
These homeowners have responded by changing THEIR way of life.
By changing the way they live,… pic.twitter.com/9pr5yIktJv
— anand mahindra (@anandmahindra) May 22, 2026
આ રૂફટોપ ફાર્મિંગ માત્ર ઘરને ઠંડુ રાખવાનું જ કામ નથી કરતું, પરંતુ તે વાલીઓને પોતાના ધાબા પર જ કેમિકલ મુક્ત, તાજી અને ઓર્ગેનિક શાકભાજી, મસાલા તેમજ ફળો ઉગાડવાની સુવિધા આપે છે. એટલે કે બજારમાંથી મોંઘી અને જંતુનાશક દવાઓ વાળી શાકભાજી ખરીદવામાંથી કાયમ માટે મુક્તિ મળી જાય છે.
એક નાના પ્રયોગ તરીકે શરૂ થયેલું આ સ્ટાર્ટઅપ મોડલ આજે ભારતના અલગ-અલગ શહેરોમાં 4,000 થી વધુ ઘરો સુધી પહોંચી ચૂક્યું છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે, સિમેન્ટ અને કોંક્રીટના જંગલ બનેલા શહેરોમાં ‘અર્બન હીટ આઇલેન્ડ’ ની અસર જોવા મળે છે, જ્યાં આસપાસના વિસ્તારો કરતા શહેરો વધુ ગરમ રહે છે. આવા સમયે જો દરેક વ્યક્તિ પોતાની છતને ગ્રીન ઝોનમાં ફેરવી નાખે, તો ગરમીના પ્રકોપ સામે લડવા માટે એસી જેવા મોંઘા સાધનો પરની આપણી નિર્ભરતા ઘણી ઓછી થઈ શકે છે.