શું ભારતમાં બંધ થશે WhatsApp? કંપનીએ કહ્યું, અમે દેશ છોડી દઈશું, જાણો શું છે સમગ્ર મામલો
વોટ્સએપ એ કહ્યું કે 'ભારત છોડવું પડશે'. આઈટી એક્ટ 2021ના કેટલાક નિયમોને લઈને કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં એપ દ્વારા આ વાત કહેવામાં આવી છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો
વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે કે જો તેને દબાણ કરવામાં આવશે તો તે ભારત છોડી દેશે. ભારતમાં 40 કરોડથી વધુ યુઝર્સ ધરાવતા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppના આવા કોઈપણ નિર્ણયની ભારતીય યુઝર્સ પર મોટી અસર થશે. ત્યારે શું ખરેખર વોટ્સએપ ભારત છોડીને જઈ રહ્યું છે એટલે કે શું હવે વોટ્સએપ ભારતમાં બંધ થઈ જશે. જાણો વોટ્સએપે કેમ આવી ચેતવણી આપી?
શું છે મામલો?
વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટા (અગાઉ ફેસબુક) એ ભારતના IT કાયદાના એક નિયમને કોર્ટમાં પડકાર્યો છે. આના દ્વારા સરકાર ઈચ્છે છે કે કંપનીઓ મેસેજને ટ્રેક કરે અને જરૂર પડે તો તેમના સ્ત્રોતને જાહેર કરે. એટલે કે આ મેસેજ કોણે કોને મોકલ્યો તેની માહિતી સરકારને આપવી જોઈએ. સાથે જ વોટ્સએપનું કહેવું છે કે આનાથી લોકોની પ્રાઈવસી જોખમમાં મુકાઈ જશે, જેની સુરક્ષાને કારણે લોકો નિર્ભયતાથી તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
જો WhatsApp તેના સંદેશાઓના એન્ક્રિપ્શનને (Encryption) તોડે છે, તો આ પ્લેટફોર્મ નાશ પામશે. દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપ તરફથી હાજર થયેલા એડવોકેટ તેજસ કારિયાએ સ્પષ્ટ કહ્યું કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સએપ અહીંથી જતું રહેશે.
વોટ્સએપ vs કેન્દ્રનો શું છે વિવાદ?
મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના રોજ આઈટી નિયમો 2021ની જાહેરાત કરી હતી. આ પછી, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને આ નિયમનું પાલન કરવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. આ નિયમને પડકારતાં વોટ્સએપે કેન્દ્ર સરકાર સામે કાયદાકીય લડાઈ શરૂ કરી છે.
વોટ્સએપ નિયમોની વિરુદ્ધ કેમ છે?
WhatsApp દલીલ કરે છે કે તે તેના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તોડ્યા વિના ભારતના નવા IT નિયમનું પાલન કરી શકશે નહીં. વોટ્સએપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર મેસેજને એવી રીતે એન્ક્રિપ્ટ કરે છે કે તેને ટ્રેક કરી શકાતો નથી અને તે માત્ર મોકલનાર અને પ્રાપ્તકર્તા જ વાંચી શકે છે. વોટ્સએપનું કહેવું છે કે આ ફીચર દ્વારા તે યુઝરની પ્રાઈવસી જાળવી રાખે છે.
શું કહે છે ભારત સરકાર?
સરકારની દલીલ છે કે ફેક ન્યૂઝ અને હેટ સ્પીચ જેવા કન્ટેન્ટ સાથે કામ કરવા માટે સંદેશાઓનું ટ્રેસિંગ જરૂરી છે. સરકાર માને છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓનલાઈન સુરક્ષા માટે જવાબદાર છે, તેઓ તેમની જવાબદારીમાંથી છટકી શકતા નથી. કેન્દ્રએ કહ્યું છે કે તેને સુરક્ષિત સાયબર સ્પેસ બનાવવાનો અને ગેરકાયદે સામગ્રીને પોતાની જાતે અથવા કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા બ્લોક કરવાનો અધિકાર છે. કેન્દ્રએ કોર્ટને કહ્યું છે કે IT એક્ટની કલમ 87એ તેને નિયમ 4 (2) ઘડવાની સત્તા આપી છે, જેના હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે માહિતીના સ્ત્રોતને જાહેર કરવું પડશે.