
દિલ્હીમાં યોજાયેલી ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026’ માં ટેક જગતના દિગ્ગજ અને ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યેના વિઝનની ભારોભાર પ્રશંસા કરી હતી. નીલેકણીએ એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો શેર કરતા જણાવ્યું કે, કેવી રીતે PM મોદીના એક વિચાર માત્રથી અમૂલ સાથે જોડાયેલા લાખો ખેડૂતોનું જીવન બદલાઈ ગયું. આ પરિવર્તન કોઈ વર્ષોની મહેનત નહીં, પરંતુ માત્ર 34 દિવસના ટૂંકા ગાળામાં શક્ય બન્યું છે.
નીલેકણીએ જણાવ્યું કે, “8 જાન્યુઆરીના મારી વડાપ્રધાન સાથે મુલાકાત થઈ હતી. અમે ખેતીવાડીમાં AI ના ઉપયોગ અંગે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે PM મોદીએ એક ખૂબ જ સંવેદનશીલ અને તાર્કિક મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ મુંગા પશુઓ માટે કેમ ન કરી શકીએ? પશુ બીમાર હોય તો તે બોલીને પોતાની તકલીફ કહી શકતું નથી. જો આપણે AI દ્વારા પશુઓના સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદનનું પૂર્વાનુમાન લગાવી શકીએ, તો તે પશુપાલકો માટે ક્રાંતિકારી સાબિત થશે.”
વડાપ્રધાનના આ વિચારને અમલમાં મૂકવા માટે તે જ દિવસે PMO (પ્રધાનમંત્રી કાર્યાલય) સક્રિય થયું. મેઈટી (MeitY) ના અધિકારીઓ, અમૂલના પ્રતિનિધિઓ અને નીલેકણીની ટીમ વચ્ચે બેઠક થઈ. પરિણામ એ આવ્યું કે 8 જાન્યુઆરીએ જે વિચાર આવ્યો હતો, તે માત્ર 34 દિવસમાં એટલે કે 11 ફેબ્રુઆરીએ ‘સરલ એપ’ તરીકે લાઈવ થઈ ગયો. અમૂલ જેવી વિશ્વની સૌથી મોટી ડેરી કો-ઓપરેટિવ, જેમાં 3.6 મિલિયન ખેડૂતો છે અને વર્ષે 2 બિલિયન દૂધના ટ્રાન્ઝેક્શન થાય છે, તેના માટે આટલી ઝડપથી સિસ્ટમ ઊભી કરવી એ ભારતની ટેકનિકલ ક્ષમતાનું ઉદાહરણ છે.
આ એપ દ્વારા પશુપાલકો, જેમાં મોટાભાગની મહિલાઓ છે, તેઓ હવે તેમના મોબાઈલ પર જ પશુઓના સ્વાસ્થ્ય, તેમની પ્રેગ્નન્સી (ગર્ભાવસ્થા) અને દૂધના ઉત્પાદન વિશે સચોટ માહિતી મેળવે છે. AI પશુઓના વર્તનને સમજીને તે બીમાર પડવાના હોય તે પહેલા જ ખેડૂતને સતર્ક કરી દે છે.
નીલેકણીએ આ ક્ષણને 2016ના UPI લોન્ચિંગ સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે જેમ UPI એ પેમેન્ટની દુનિયા બદલી નાખી, તેમ AI હવે સામાન્ય માણસ, મજૂર અને ખેડૂતના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ભારત હવે માત્ર ટેકનોલોજી વાપરનારો દેશ નથી, પણ વિશ્વને ‘AI ડિફ્યુઝન’ (ટેકનોલોજીનો વ્યાપક ફેલાવો) કેવી રીતે કરવો તે શીખવનારો દેશ બની રહ્યો છે.