શિખર ધવને પક્ષીઓને દાણા ખવડાવ્યા અને સર્જાયો વિવાદ, તંત્ર કાર્યવાહીના મૂડમાં
બે દિવસ પહેલા કાશીમાં નૌકા વિહાર સમયે શિખર ધવને પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાવા પામ્યો છે.
ભારતીય ટીમના બેટ્સમેન શિખર ધવન વારાણસીમાં વિવાદોમાં ફસાતા જોવા મળી રહ્યા છે. બે દિવસ પહેલા કાશીમાં નૌકા વિહાર સમયે શિખર ધવને પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા. જેને લઈને વારાણસી જીલ્લા પ્રશાસન કાર્યવાહી કરવાના મૂડમાં લાગી રહ્યું છે. કેમ કે બર્ડ ફ્લૂના કારણે પક્ષીઓને દાણા ખવડાવવા પર રોક લગાવવામાં આવી છે.
શિખર ધવને શનિવારે સોશિયલ મીડિયામાં પક્ષીઓને દાણા ખવડાવતા ફોટા શેર કર્યા હતા. આ તસ્વીરો વાયરલ થતા વારાણસી જીલ્લા પ્રશાસને આ ઘટનાની નોંધ લીધી છે. વારાણસીના ડીએમ કૌશલ રાજ શર્માએ નાવિક પર પણ કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી લીધી છે.
View this post on Instagram
ફ્લૂના કારણે પક્ષીઓને ચણ ખવડાવવા પર છે પ્રતિબંધ
ડીએમ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે શિખર ધવન નૌકાવિહાર કરવા ગયા હતા અને એ બોટ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. ડીએમે વધુમાં જણાવ્યું હતું કે ધવનને નિયમની જાણ નહોતી પરંતુ નાવિકને તો હતી અને એણે નાવિકને જણાવવું જોઈતું હતું. બર્ડ ફ્લૂ દરમિયાન વિદેશી પક્ષીઓને દાણા ખવડાવવાની મનાઈ છે, પરંતુ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તે પક્ષીઓને ચણ ખવડાવતા નજરે પડે છે. આ ફોટાની તપાસ કરવામાં આવી રહી છે.
બર્ડ ફ્લૂને લીધે ગંગા નદીમાં સ્થળાંતરિત પક્ષીઓના ખોરાક ખવડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ડીએમ કૌશલ રાજ શર્માએ 11 જાન્યુઆરીએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાણી પોલીસને આની દેખરેખ રાખવા નિર્દેશ કર્યો હતો.