
સતત બે વખત T20 વર્લ્ડ કપ જીતનારી વર્તમાન ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને હવે આયર્લેન્ડ સામેની સિરીઝ ગુમાવવાનો ખતરો ઉભો થયો છે. બે દિવસ પહેલાં સુધી કદાચ કોઈએ આ વાત પર વિશ્વાસ ન કર્યો હોત, પરંતુ 26 જૂને બેલફાસ્ટમાં જે બન્યું ત્યારથી આ શક્યતા હવે હકીકત જેવી લાગી રહી છે. બે મેચની T20 સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામે 34 રને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સિરીઝ બચાવવા માટે બીજી મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે. પરંતુ મેચ પહેલાં હવામાને ચિંતા વધારી દીધી છે.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝની બીજી અને અંતિમ મેચ આજે 28 જૂન, રવિવારના રોજ રમાશે. પહેલી મેચ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયા પાસે હવે આ મેચ કોઈપણ કિંમતે જીતવાનો પડકાર છે. જો તેઓ આ મેચ હારી જશે તો તેઓ સિરીઝ પણ ગુમાવશે. જે એક શરમજનક વાત હશે. સિરીઝ જીતવાની તક પહેલાથી જ ગુમાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું એકમાત્ર લક્ષ્ય મેચ જીતવાનું અને સિરીઝને બરાબર કરવાનું છે.
હાલ સૌથી મોટી ચિંતા વરસાદને લઈને છે. શનિવારે (27 જૂન) બેલફાસ્ટમાં વરસાદ પડતાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન પૂર્ણ થઈ શક્યું નહોતું. તેથી હવે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે આજે (28 જૂન) પણ વરસાદ પડી શકે છે. જો વરસાદને કારણે મેચ રદ થશે તો ભારત 0-1થી સિરીઝ ગુમાવી શકે છે.
હવામાન અહેવાલ મુજબ, રવિવારે (28 જૂન) બેલફાસ્ટમાં બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે 50થી 65 ટકા વરસાદની શક્યતા છે. ભારતીય સમય મુજબ આ સમય સાંજે અંદાજે 5:30થી 7:30-8:00 વાગ્યા વચ્ચેનો હોય છે. જે દરમિયાન બીજી T20 મેચ શરૂ થવાની છે. જો આ સમયે વરસાદ પડશે અને મેચ પ્રભાવિત થશે તો મેચ રદ કરવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જેના કારણે ટીમ ઈન્ડિયા સિરીઝ હારી શકે છે.
મેચની વાત કરીએ તો, બધાની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે. તેને મેચમાં ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં આ વાત પર સસ્પેંસ છે. ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતરેલા આ 15 વર્ષીય બેટ્સમેનને લઈને ઘણા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ચાહકોને પ્રથમ T20 મેચમાં વૈભવના ડેબ્યૂ પર વિશ્વાસ હતો. પરંતુ એવું થયું નહીં અને ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની જેમ જ ઓપનિંગ જોડી અને ટોપ ઓર્ડરને મેદાનમાં ઉતાર્યો. જોકે સંજુ સેમસન અને ઈશાન કિશન પહેલી મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા નહીં. તેથી એ જોવું રસપ્રદ રહેશે કે વૈભવને બીજી મેચમાં તક મળે છે કે નહીં.