ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ)ની પ્રથમ પ્રેક્ટિસ સેશન મેચ રદ થઈ ગઈ છે. આ પ્રેક્ટિસ સેશન બુધવારે વાનખેડે (Wankhed) મેદાન પર થવાનું હતું પણ તેની પર મુંબઈમાં થયેલા વરસાદનું પાણી ફરી વળ્યું. બંને ટીમો મંગળવારે કાનપુરથી મુંબઈ પહોંચી હતી. તેમની વચ્ચે કાનપુરમાં રમાયેલી સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. મુંબઈ પહોંચ્યા બાદ તેમને બુધવારે નેટ્સ પર ઉતરવાનું હતું પણ વરસાદે તમામ ખેલ બગાડી દીધો. BCCIએ કહ્યું કે ભારે વરસાદના કારણે ભારતીય ટીમનું પ્રેક્ટિસ સેશન રદ કરી દેવામાં આવ્યું છે.
સાઉથ મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન વાનખેડેની પીચ ઢંકાયેલી રહી. ટીમને પ્રેક્ટિસની તક ના મળી. હવે બંને ટીમો ગુરૂવારે પ્રેક્ટિસ કરવા ઉતરશે. જો કે ગુરુવારે પણ હવામાન ખરાબ રહેવાની આશંકા છે. એટલે વરસાદ ચાલુ રહેશે તો બીજી અને છેલ્લી પ્રેક્ટિસ સેશન પણ બંધ રહી શકે છે. સારી વાત એ છે કે મેચ દરમિયાન સ્થિતિ સામાન્ય બની રહેવાની અપેક્ષા છે.
કાનપુર ટેસ્ટ ડ્રો થયા બાદ હવે ભારત અને ન્યૂઝીલેન્ડ સીરીઝ જીતવા માટે કોઈ કસર છોડશે નહીં. ન્યૂઝીલેન્ડ માટે ભારતીય ધરતી પર ટેસ્ટ સીરીઝ જીતવા માટે ઐતિહાસિક તક હોય શકે છે. ત્યારે ભારતીય ટીમનો ઈરાદો ઘરેલુ સ્થિતિમાં કીવી ટીમ પર પોતાનો દબદબો કાયમ રાખવા પર હશે. મુંબઈના વાનખેડે મેદાન પર 5 વર્ષ બાદ કોઈ ટેસ્ટ મેચ રમાશે. ભારતે છેલ્લે 2016માં આ મેદાન પર ટેસ્ટ મેચ રમી હતી, તે ટેસ્ટમાં તેણે ઈંગ્લેન્ડને ઈનિંગ અને 36 રનથી હરાવ્યું હતું.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મુંબઈમાં આ ત્રીજી ટેસ્ટ મેચ હશે. આ પહેલા રમાયેલી 2 ટેસ્ટમાં બંને ટીમોએ 1-1 મેચ જીતી હતી. છેલ્લી ટેસ્ટ બંને ટીમોની વચ્ચે મુંબઈના મેદાન પર વર્ષ 1988માં રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે 136 રનથી જીત મેળવી હતી.
ત્યારે આ પહેલા 1976માં બંને ટીમો પ્રથમવાર ટેસ્ટ મેચ રમવાના ઈરાદે મુંબઈમાં ઉતરી હતી. જેમાં ભારતે 162 રનથી જીત મેળવી હતી. મુંબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડના ઈતિહાસને જોતા વાનખેડે ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન ખૂબ જ મહત્વપૂર્ણ હતી, જેમાં વરસાદ અવરોધરૂપ બન્યો.
આ પણ વાંચો: મુંબઈગરાઓ સાવધાન : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC દોડતુ થયુ, ‘જો નહિ પાળો નિયમ, તો ભરવો પડશે દંડ’