
ટીમ ઈન્ડિયા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી. વનડે શ્રેણીની મેચ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતાં આફ્રિકન ટીમ 270 રનના સ્કોર પર જ સમેટાઇ હતી ગઈ હતી. જો કે, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્ય માત્ર 39.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ત્રીજી વનડેમાં ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલની બેટિંગ અદ્ભુત રહી, તેણે 116 રનની અણનમ ઇનિંગ રમી અને વનડે કારકિર્દીમાં તેની પહેલી ODI સદી પણ ફટકારી. આ ઇનિંગ પછી રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રોહિતે સમજાવ્યું છે કે, કેવી રીતે જયસ્વાલ તેની સદીની નજીક આવતાં નર્વસ થઈ ગયો હતો.
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં જ્યારે ટીમ ઈન્ડિયા લક્ષ્યનો પીછો કરવા ઉતરી, ત્યારે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડીએ શાનદાર શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 155 રનની ભાગીદારી કરી, જેના કારણે તે જ ક્ષણે મેચ સંપૂર્ણપણે એકતરફી બની ગઈ. આ મેચમાં રોહિતના બેટથી 75 રનની શાનદાર ઇનિંગ નીકળી હતી.
મેચ પૂરી થઈ ત્યારબાદ જ્યારે ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓ એકસાથે ઉભા હતા, ત્યારે તે સમયનો એક વીડિયો હવે BCCI દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા સાથે ઉભા છે.
વીડિયોમાં રોહિત કહી રહ્યો છે કે, “50 પછી, તે 70 સુધી ઝડપથી રમી રહ્યો હતો. આ પછી 75 સુધી પહોંચતાની સાથે જ અરે ભાઈ, તે 100 જેવું લાગે છે.” જો કે, આ બાદ યશસ્વીએ પણ જણાવ્યું કે, “ભાઈએ કીધું 50 રમો અને પછી ફટકારો.”
આ ત્રણ મેચની ODI શ્રેણીમાં ટીમમાં કેપ્ટન શુભમન ગિલની ગેરહાજરીને કારણે યશસ્વી જયસ્વાલને પ્લેઇંગ 11 માં રમવાની તક મળી હતી. ત્રીજી મેચમાં, જયસ્વાલે સદી ફટકારીને પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરી.
આ સદી સાથે, જયસ્વાલ હવે છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે, જે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવામાં સફળ રહ્યો છે. આની પહેલા, સુરેશ રૈના, રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને કેએલ રાહુલ આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા છે.
Published On - 9:10 pm, Sun, 7 December 25