IND VS WI: કોચે કહ્યું- વિરાટ કોહલીને આરામની જરૂર નથી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે આપવામાં આવ્યો આરામ!
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનને કેપ્ટનશીપની તક મળી. વિરાટ કોહલીને (Virat Kohli) આરામ આપવામાં આવ્યો છે. બાળપણના કોચ રાજકુમાર શર્માએ કહ્યું- તેને આરામની જરૂર નથી.
ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 3 મેચની વનડે સિરીઝ રમશે, જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સ રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓને આરામ આપ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ નિવેદન આપ્યું હતું કે વિરાટ કોહલીને (Virat Kohli) આરામની જરૂર નથી. રાજકુમાર શર્માએ કહ્યું કે વિરાટને આરામની જરૂર નથી કારણ કે તે સંપૂર્ણ રીતે ફિટ છે. રાજકુમાર શર્માએ આશા વ્યક્ત કરી કે કોહલી ટૂંક સમયમાં ‘વિરાટ’ વાપસી કરશે.
ANI સાથેની વાતચીતમાં રાજકુમાર શર્માએ કહ્યું ‘હું સમજી શકું છું કે વિરાટ કોહલી લાંબા સમયથી મોટી ઈનિંગ્સ રમી શક્યો નથી, પરંતુ સારા ખેલાડીઓ સાથે આવું થાય છે. જે બોલ પર બીજા દાવમાં તેણે વિકેટ ગુમાવી તે કોઈપણ બેટ્સમેન માટે મુશ્કેલ બોલ હતો. મને લાગે છે કે વિરાટ કોહલીને આરામ કરવાની કોઈ જરૂર નથી, તે બિલકુલ ઠીક છે.
‘વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને ઘણું બધું આપ્યું છે’
રાજકુમાર શર્માએ વધુમાં કહ્યું ‘વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે જે પણ કંઈ કર્યું છે તે કોઈ કરી શક્યું નથી. મને તેનામાં પૂરો વિશ્વાસ છે. તે શાનદાર વાપસી કરશે. છેલ્લા અઢી વર્ષથી વિરાટ કોહલી સદી ફટકારી શક્યો નથી અને હવે ખરાબ પ્રદર્શનને કારણે તે 6 વર્ષ પછી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. તે સ્પષ્ટ છે કે વિરાટ કોહલી માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે અને તેને આરામની નહીં પણ વધુને વધુ મેચ રમવાની જરૂર છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમની જાહેરાત
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ, રોહિત, બુમરાહ અને પંતને આરામ આપવામાં આવ્યો છે. ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવ્યો છે. સંજુ સેમસન, શુભમન ગિલ, અર્શદીપ સિંહ અને અવેશ ખાન જેવા યુવા ખેલાડીઓ વનડે ટીમમાં છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટેની ભારતીય ટીમ: શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રૃષ્ણા , મોહમ્મદ સિરાજ , અર્શદીપ સિંહ.