Virat Kohli: રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે વાઇસ કેપ્ટનનો હતો ખટરાગ, કોહલીના પસંદગીકારો સમક્ષ પ્રસ્તાવથી નારાજ હતુ BCCI
2017 માં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ વિરાટ કોહલી (Virat Kohli) ભારતની મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન બન્યો. કોહલીએ 90 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે 28 અડધી સદી સાથે 3159 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી (Virat Kohli) એ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાનારા T20 વર્લ્ડ કપ (2021 T2o World Cup), બાદ ભારતીય T20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ 32 વર્ષીય ક્રિકેટરે પોતાના ટ્વિટર પેજ પર એક નિવેદન પોસ્ટ કર્યું, ઓક્ટોબરમાં દુબઈમાં યોજાનારા T20 વર્લ્ડ કપ બાદ મેં T20 કેપ્ટન પદ છોડવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય પછી, રોહિત શર્મા (Rohit Sharma) માટે. T20 માં ટીમ ઈન્ડીયા (Team India) ની કેપ્ટનશિપ ખુલી જશે.
વ્હાઇટ-બોલ ટીમના કેપ્ટન તરીકે કોહલીના ભવિષ્ય અંગે કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોહિત શર્માનો શાનદાર રેકોર્ડ, જેમાં તેણે મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) ને પાંચ ટાઇટલ અપાવ્યા હતા.
34 વર્ષીય રોહિત શર્મા વનડે અને T20 ફોર્મેટમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન છે. તે T20 કેપ્ટનની ભૂમિકા ભજવે તેવી તમામ શક્યતાઓ છે. તે આ વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડ સામેની ઘર આંગણાની સિરીઝ દરમિયાન કેપ્ટન તરીકે ભારતની T20 ડેબ્યુ કરી શકે છે. પરંતુ ભારતીય ક્રિકેટમાંથી એક અલગ જ સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી રોહિત શર્માને વાઈસ કેપ્ટન પદેથી હટાવવા માંગતો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે, કોહલી રોહિતને વનડે અને T20 ની ઉપ કેપ્ટનશીપમાંથી હટાવવાના પ્રસ્તાવ સાથે પસંદગીકારો પાસે ગયો હતો. તેણે કહ્યું કે રોહિત 34 વર્ષનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલને વન-ડેમાં અને T20 માં ઋષભ પંતને ઉપ કેપ્ટન બનાવવો જોઈએ.
BCCI ના એક સૂત્રએ મીડિયા રીપોર્ટસમાં જણાવ્યું હતું કે, બોર્ડને આ પ્રસ્તાવ ગમ્યો ન હતો. કારણ કે તેઓ માનતા હતા કે, કોહલી કોઈ અનુગામી નથી ઈચ્છતો. BCCI માં અધિકારીઓ સંમત થયા કે કોહલી 2023 વર્લ્ડ કપ સુધી પોતાની કેપ્ટનશિપ બચાવવા માંગે છે. એવું જોવામાં આવ્યું છે કે કોહલીએ લાંબા સમયથી ઘણા લોકોને તેના માર્ગમાંથી દૂર કર્યા હતા. આમાં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, પસંદગીકારો અને બોર્ડના દિગ્ગજો પણ સામેલ હતા.
કોહલી 2017 માં કેપ્ટન બન્યો હતો
કોહલી 2017 માં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની જગ્યાએ ભારતની મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન બન્યો હતો. કોહલીએ 90 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 28 અડધી સદી સાથે 3159 રન બનાવ્યા છે. તેણે આમાંથી 45 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું અને 27 માં ટીમને જીત તરફ દોરી જ્યારે 14 માં ટીમને હારનો સામનો કરવો પડ્યો. તેની જીતની ટકાવારી 65.11 છે. T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થશે. કેપ્ટન તરીકેની તેની છેલ્લી ટુર્નામેન્ટમાં કોહલી પર ટ્રોફી જીતવા માટે ભારે દબાણ રહેશે.