IPL 2024માં T20 વર્લ્ડ કપને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. કારણ કે 2 જૂનથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, ભારતીય ટીમની પસંદગી 30 એપ્રિલ પહેલા કરવામાં આવશે અને તેમાં ઘણા આશ્ચર્યજનક નામ સામેલ થઈ શકે છે. ટીમમાં ઓપનર તરીકે સામેલ થવાની રેસમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ પણ પ્રબળ દાવેદાર છે. પરંતુ તેના એક નિવેદન બાદ તેના સિલકેશન પર ફેન્સને શંકા થવા લાગી છે.
કયા ખેલાડીને સ્થાન મળશે અને કોણ બહાર બેસશે તે તો પછી ખબર પડશે, પરંતુ ઓપનર શુભમન ગિલ ટીમમાંથી બહાર થવા માટે માનસિક રીતે તૈયાર જણાય છે. ટીમ ઈન્ડિયાની પસંદગી પહેલા શુભમન ગિલે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો તેની T20 વર્લ્ડ કપ ટીમમાં પસંદગી નહીં થાય તો તે ઘરે બેસીને ટીમ ઈન્ડિયાને ચીયર કરશે.
શુભમન ગિલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટીમમાં તેની પસંદગી થાય છે કે નહીં તે તેના હાથમાં નથી. ટીમ ઈન્ડિયા માટે રમવું એ મોટી વાત છે પરંતુ જો તે હવેથી વર્લ્ડ કપ વિશે વિચારવાનું શરૂ કરશે તો તે ગુજરાત ટાઈટન્સ સાથે અન્યાય થશે. શુભમન ગિલે કહ્યું કે જો તેને T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવે તો સારું રહેશે, પરંતુ અત્યારે તેનું ધ્યાન IPL પર છે.
શુભમન ગિલે આ સિઝનમાં 9 મેચમાં 304 રન બનાવ્યા છે, તેની એવરેજ 38થી વધુ છે. ગિલનો સ્ટ્રાઈક રેટ પણ 146થી વધુ છે અને તેણે પોતાના બેટથી 2 અડધી સદી ફટકારી છે. પરંતુ તેના સારા ફોર્મ છતાં ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી મુશ્કેલ છે કારણ કે તેની સીધી સ્પર્ધા યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી સાથે છે. યશસ્વી જયસ્વાલે છેલ્લી મેચમાં સદી ફટકારીને વર્લ્ડ કપ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. બીજી તરફ વિરાટ કોહલીએ IPL 2024માં સૌથી વધુ રન બનાવ્યા છે. તેનો આંકડો 400ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં ગિલનું વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. કદાચ ગિલ પણ આ વાત જાણે છે, તેથી જ તે ઘરે રહીને ટીમ ઈન્ડિયાને ચીયર કરવાની વાત કરી રહ્યો છે.
આ પણ વાંચો : IPL 2024: જસપ્રીત બુમરાહે દિલ્હી સામેની મેચ પહેલા બોલિંગ છોડી બેટિંગ પ્રેક્ટિસ કરી, જુઓ Video