
ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાનારો ન્યૂઝીલેન્ડ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા 5 ટી20, 5 વનડે અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. જોકે, એક અહેવાલ મુજબ આ પ્રવાસના વ્યસ્ત અને ટાઈટ શિડ્યુલના કારણે ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝની અધવચ્ચે જ કેપ્ટન બદલવાની ફરજ પડી શકે છે.
ભારતીય ટીમ ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચશે, જ્યાં 22 ઓક્ટોબરથી 5 મેચની ટી20 સિરીઝ શરૂ થશે. આ ટી20 સિરીઝમાં ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ત્યારબાદ 4 નવેમ્બરથી 5 મેચની વનડે સિરીઝ શરૂ થશે, જેમાં શુભમન ગિલ કેપ્ટન રહેશે. પરંતુ ગિલને આ વનડે સિરીઝ પૂરી થયા પહેલાં જ ટીમ છોડવી પડી શકે છે, જેથી વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરના હાથમાં કમાન સોંપવામાં આવી શકે છે.
ગિલના સિરીઝ છોડવા પાછળ કોઈ અંગત કારણ નથી, પરંતુ શિડ્યુલની મુશ્કેલી છે. વનડે અને ટેસ્ટ સિરીઝ વચ્ચે માત્ર 3 દિવસનો જ બ્રેક છે. વનડે સિરીઝની છેલ્લી મેચ 15 નવેમ્બરે રમાશે, જ્યારે 19 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ જશે.
ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ જેવા સિનિયર ખેલાડીઓ વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટની ટીમનો હિસ્સો છે. આવા સંજોગોમાં તેમને માત્ર આરામની જ નહીં, પરંતુ ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિઓમાં રેડ બોલથી ટેસ્ટ પ્રેક્ટિસ કરવાની તાતી જરૂર રહેશે. રિપોર્ટ અનુસાર, આ કારણોસર ગિલ સહિત આ મુખ્ય ખેલાડીઓ છેલ્લી 2 વનડે મેચમાંથી બહાર બેસી શકે છે અને શ્રેયસ અય્યર તે મેચોમાં ટીમની કેપ્ટનશિપ કરશે.
માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ સપોર્ટ સ્ટાફ પણ બે ભાગમાં વહેંચાઈ જશે. હેડ કોચ ગૌતમ ગંભીર ત્રીજી વનડે પૂર્ણ થયા બાદ સીધા ટેસ્ટ સ્ક્વોડ સાથે જોડાઈ જશે. ફિલ્ડિંગ કોચ સુભાષદીપ, બેટિંગ કોચ સિતાંશુ કોટક અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલમાંથી કોઈ એક કોચ ગંભીર સાથે ટેસ્ટ ટીમની તૈયારીઓ માટે જશે, જ્યારે બાકીના બે આસિસ્ટન્ટ કોચ વનડે સિરીઝ પૂરી થાય ત્યાં સુધી વનડે ટીમ સાથે રોકાશે.
Published On - 8:59 pm, Sun, 20 September 26