Vijay Hazare Trophy 2021: ઋતુરાજ ગાયકવાડે શતક પર શતક ફટકારીને વિરાટ કોહલીની કરી બરાબરી, 5 મેચોમાં જ કરી દેખાડ્યો કમાલ
ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) નું સ્ફોટક ફોર્મ ચાલુ છે. વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં મહારાષ્ટ્રના કેપ્ટને પાંચ મેચમાં ચોથી સદી ફટકારી હતી.
ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) સાચે જ આ જમણા હાથના બેટ્સમેને પોતાની પ્રતિભાથી બધાને ચોંકાવી દીધા છે. IPL 2021માં ઓરેન્જ કેપ જીત્યા બાદ ગાયકવાડે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2021) માં પણ કમાલ કરી દીધો છે. ટૂર્નામેન્ટમાં ગાયકવાડે મંગળવારે ચંદીગઢ સામે પણ સદી ફટકારી હતી. આ સાથે તેણે આ ચોથુ શતક ટૂર્નામેન્ટમાં નોંધાવ્યુ હતુ. તેણે ચોથા શતકને નોંધાવતા જ વિરાટ કોહલી (Virat Kohli), પૃથ્વી શો અને દેવદત્ત પડિક્કલની બરાબરી કરી દીધી છે.
ગાયકવાડની સદીના દમ પર મહારાષ્ટ્રે (Maharashtra) 310 રનનો વિશાળ ટાર્ગેટ 7 બોલ અગાઉ મેળવી લીધો હતો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 168 રન બનાવ્યા અને ટીમને એકલા હાથે મેચ જીતાડ્યો.
ગાયકવાડે ચંદીગઢ સામે 168 રનની ઇનિંગ રમીને વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં 600 રન પણ પાર કર્યા હતા. ગાયકવાડે આ કારનામું માત્ર 5 મેચમાં કર્યું હતું. ગાયકવાડની વર્તમાન સિઝનમાં સરેરાશ 150થી વધુ છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 112 થી ઉપર છે. ગાયકવાડે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 19 સિક્સર અને 51 ફોર ફટકારી છે.
ગાયકવાડે વિરાટની બરાબરી કરી
જમણા હાથના મહારાષ્ટ્રના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ વિજય હજારે ટ્રોફીમાં 4 સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન છે. સૌથી પહેલા આ કારનામું વિરાટ કોહલીએ વર્ષ 2008-09માં કર્યું હતું. તેણે એ વખતે શતક એક બાદ નોંધાવતા તેણે સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ. આ પછી, પૃથ્વી શો અને દેવદત્ત પડિકલે વર્ષ 2020-21માં 4-4 સદી ફટકારી હતી. હવે ગાયકવાડે પણ માંત્ર 5 મેચો રમીને જ તેમની સાથે બરાબરી કરી લેતા સૌને આશ્વર્યમાં મુકી દીધા છે. તેણે આ પરાક્રમ ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા જ કરી દેખાડ્યુ છે.
ગાયકવાડે શતકની હારમાળા રચી
ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટૂર્નામેન્ટમાં સદીની સફરની શરૂઆત મધ્યપ્રદેશ સામેથી કરી હતી. ગાયકવાડે મધ્યપ્રદેશ સામે 136 રન બનાવ્યા હતા. આ પછી ગાયકવાડે બીજા જ દિવસે છત્તીસગઢ સામે 154 રન બનાવ્યા હતા. 11 ડિસેમ્બરે, ગાયકવાડે કેરળ સામે 124 રનની ઇનિંગ રમીને સતત ત્રીજી સદી ફટકારી હતી. ચોથી મેચમાં ગાયકવાડ ઉત્તરાખંડ સામે 21 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ હવે ફરી એકવાર આ બેટ્સમેને સદી ફટકારી છે.
ગાયકવાડ સામે લાચાર પસંદગીકારો!
ઋતુરાજ ગાયકવાડે પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયાના પસંદગીકારોને તેને પસંદ કરવામાં લાચાર બનાવી દીધા છે. ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે શ્રેણી રમવાની છે અને માનવામાં આવી રહ્યું છે કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ગાયકવાડને ચોક્કસપણે ટીમમાં પસંદ કરવામાં આવશે. પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે પણ ઋતુરાજ ગાયકવાડને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે લઈ જવાની વાત કરી હતી. ગાયકવાડે પોતાના બેટની તાકાત બતાવી દીધી છે, હવે જોવાનું એ રહેશે કે તેને ટીમમાં સ્થાન મળે છે કે નહીં.