
આખી દુનિયાના ક્રિકેટ ફેન્સ આતુરતાથી આઈપીએલ (IPL) 2026ના ફાઈનલની રાહ જોઈ રહ્યા છે. 28 માર્ચથી શરૂ થયેલી 19મી સીઝનનો આજે ફાઈનલ મુકાબલો રમાવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબી (RCB) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબી જંગ જામશે.
આ પહેલા પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ચેમ્પિયન ટીમ અંગે મોટી ભવિષ્યવાણી કરી છે. અશ્વિનનું માનવું છે કે, આઈપીએલ 2026ના ફાઈનલ મુકાબલામાં RCB પોતાના ટાઈટલનો બચાવ કરવામાં સફળ રહેશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખિતાબી મુકાબલામાં આરસીબીની ટક્કર ગુજરાત ટાઇટન્સ સામે થવાની છે. આરસીબીએ ક્વોલિફાયર-1માં ગુજરાતને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. આ પછી ગુજરાત ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું છે. હવે આ બંને ખુંખાર ટીમ વચ્ચે ખિતાબી જંગ થશે.
રવિ અશ્વિને ‘જીઓહોટસ્ટાર’ પર જણાવ્યું કે, “ગુજરાત ટાઇટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે. તેમણે ત્યાં પોતાનો દબદબો બનાવી રાખ્યો છે પરંતુ આરસીબીને એ વાતથી કોઈ ફરક નથી પડતો. RCB પહેલા બેટિંગ કરે છે કે પછી બોલિંગ, એ વાતથી તેઓને કોઈ જ ફરક પડવાનો નથી. આ એમની ફાઈનલ છે. તેઓ પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે. આરસીબીએ બસ આખી સીઝનની જેમ જ આક્રમક ક્રિકેટ રમવી જોઈએ.”
પહેલી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે આરસીબીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પહેલા બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 254 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી કેપ્ટન રજત પાટીદારે માત્ર 33 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ રમી હતી.
રજતે પોતાની આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કૃણાલ પંડ્યાએ પણ 28 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું. આના જવાબમાં ગુજરાત ટાઇટન્સની આખી ટીમ માત્ર 162 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.