
જેમ-જેમ IPL પ્લેઓફ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક ક્રિકેટ ચાહકોના મનમાં એક પ્રશ્ન છે કે કઈ ચાર ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવશે. પ્રથમ ટીમ નક્કી થઈ ગઈ છે, કોલકાતાએ ક્વોલિફાય કર્યું છે. રાજસ્થાન રોયલ્સ પણ પ્લેઓફમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત છે. છેલ્લા બે સ્થાન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સ્પર્ધા છે.
પ્લેઓફની આ રેસ વચ્ચે, IPLમાં કોમેન્ટ્રી કરી રહેલા અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે CSK અને RCB બંને પ્લેઓફમાં જગ્યા બનાવશે. હરભજને કહ્યું કે આ લીગમાં તોફાની ક્રિકેટ રમી રહેલી હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં.
સનરાઈઝર્સ હૈદરાબાદ પર હરભજન સિંહે દાવો કર્યો છે કે આ ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. હરભજનને લાગે છે કે આ ટીમ એક દિવસ ખૂબ સારી રીતે રમી શકે છે પરંતુ સનરાઈઝર્સની ક્રિકેટ શૈલી મુશ્કેલ સંજોગોમાં કામ નહીં આવે. હરભજન સિંહે લાઈવ કોમેન્ટ્રીમાં ઘણી વખત સનરાઈઝર્સ હૈદરાબાદની ટીકા કરી છે. પરંતુ આ ટીમ પ્લેઓફની ઘણી નજીક છે અને હૈદરાબાદની બે મેચ બાકી છે, માત્ર એક જીતથી તે ક્વોલિફાય થઈ જશે. જોકે, હરભજન સિંહ કંઈક બીજું જ માને છે. તેના મતે બેંગલુરુ અને ચેન્નાઈ બંને ક્વોલિફાય થશે, જોકે આવું થવું ખૂબ જ મુશ્કેલ છે. આ બંને ટીમો વચ્ચે 18 મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાશે.
હરભજન સિંહે સ્ટાર સ્પોર્ટ્સ શોમાં દાવો કર્યો હતો કે કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024 જીતી શકે છે. હરભજનના મતે કોલકાતાની ટીમમાં ઘણા મેચ વિનર છે અને તે ચેમ્પિયન બનવાનો મોટો દાવેદાર છે. KKR પ્રથમ વખત IPL 2024 માં પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું અને હવે તેનું ટોપ 2 માં રહેવાનું પણ નક્કી જ છે. જોકે, કોલકાતાનો મહત્વનો ખેલાડી ફિલ સોલ્ટ પ્લેઓફ પહેલા ટીમ છોડીને ઈંગ્લેન્ડ પરત ફર્યો છે અને તેના કારણે ટીમને નુકસાન થઈ શકે છે. પરંતુ KKR માટે સારી વાત એ છે કે આ ટીમમાં સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓ છે જે શાનદાર ફોર્મમાં છે.
આ પણ વાંચો : IPL 2024: શું RCB રમ્યા વિના જ બહાર થઈ જશે? ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વરસાદનો ખતરો