Ravindra Jadeja IPL 2022: ‘જાડેજા CSKથી નારાજ’, કેપ્ટનશિપ વિવાદે તોડ્યો વિશ્વાસ! શું એમએસ ધોની સાથેની જોડી તૂટી જશે?
IPL 2022 : રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) સિઝન પહેલા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને અધવચ્ચે જ પડતો મૂકવામાં આવ્યો હતો. તે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 સીઝન ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે સારી રહી નથી. ટીમને અત્યાર સુધી 9 હારનો સામનો કરવો પડ્યો છે. પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી નહીં. પરંતુ આ બધાની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સાથેના સંબંધોને અસર થઈ છે. રવીન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ખરાબ પ્રદર્શનને કારણે તેને ટુર્નામેન્ટમાં મધ્યમાંથી પોતાના પદ પરથી દુર થવું પડ્યું હતું. બાદમાં જાડેજા પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર થવું પડ્યું હતું.
આ બધા વિવાદ વચ્ચે હવે માહિતી મળી રહી છે કે રવિન્દ્ર જાડેજા આ સમગ્ર વિવાદથી ખૂબ નારાજ છે. ઈનસાઈડસ્પોર્ટે રવિન્દ્ર જાડેજાના નજીકના મિત્રોને ટાંકીને જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજા ખૂબ જ દુઃખી અને પરેશાન છે. કેપ્ટનશિપના વિવાદને વધુ સારી રીતે હેન્ડલ કરવામાં આવી શક્યો હોત. બધું અચાનક જ કરવામાં આવ્યું હતું અને પદ્ધતિ પણ યોગ્ય ન હતી. જે રીતે બન્યું તેનાથી કોઈપણ નારાજ થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે આ ટિપ્પણી બાદ કોઈ નિવેદન આપ્યું નથી.
તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2022 ના 2 દિવસ પહેલા જાહેરાત કરી હતી કે રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહેશે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ચેન્નાઈની શરૂઆત ખરાબ રહી અને ટીમ પ્રથમ 8 મેચમાંથી 6 મેચમાં હારી ગઈ હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાના સ્થાને એમએસ ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો.
પરંતુ બીજી જ મેચમાં રવિન્દ્ર જાડેજાને ઈજા થઈ હતી. બાદમાં તે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમી શક્યો ન હતો અને પછી તે ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઈ ગયો હતો. એવા અહેવાલો પણ હતા કે ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. રવિન્દ્ર જાડેજા પોતે પણ ઈન્સ્ટાગ્રામ પર કોઈને ફોલો કરતા નથી.
ચેન્નઈ ટીમે નિવેદન જાહેર કર્યું
રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે ટુર્નામેન્ટ છોડવાના અહેવાલો હતો ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેની અને CSK વચ્ચે બધુ બરાબર નથી. જોકે ચેન્નઈના CEO કાશી વિશ્વનાથને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ બહારના સમાચારોથી વાકેફ નથી. પરંતુ રવિન્દ્ર જાડેજા હજુ પણ CSKની યોજનાનો એક ભાગ છે.
આ વિવાદ પર પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ કહ્યું છે કે, જો તમારી ટીમ ત્રણમાંથી 2 સિઝનમાં પ્લેઓફમાં નથી પહોંચી શકતી તો કંઈક તો થઈ રહ્યું છે. રવિન્દ્ર જાડેજા તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મેદાન પર તેની ઈજા એટલી ગંભીર ન હતી. તેથી તમે કહી શકો કે કંઈક રંધાઈ રહ્યું છે.
જો કે આ તમામ અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નઈ અને રવિન્દ્ર જાડેજા વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રવિન્દ્ર જાડેજાને પાંસળીમાં ઈજા છે. જેના કારણે તેણે ટૂર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું છે. રવીન્દ્ર જાડેજાને ચેન્નઈ ટીમે રૂ. 16 કરોડમાં જ્યારે એમએસ ધોનીને રૂ. 12 કરોડમાં જાળવી રાખ્યો હતો.