Ravi Shastri: રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયા પર ટીકા વરસાવનારાઓ પર આકરા થયા, કહ્યુ-ખેલાડીઓ IPL ને મહત્વ નથી આપતા
ICC T20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup 2021) માં ભારતીય ટીમ (Team India) અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી અને તે પછી ખેલાડીઓની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની હેઠળની ટીમને ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી પરંતુ ટીમ સુપર-12થી આગળ વધી શકી ન હતી. આ પછી ટીમ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ ટીમની ટીકા કરતા કહ્યું હતું કે ખેલાડીઓ દેશ માટે રમવાને બદલે IPLને મહત્વ આપી રહ્યા છે. T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી, ઘણા ખેલાડીઓ અને ટીમને કોચિંગ આપનાર રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ સતત બાયો બબલમાં રહેવાના કારણે ખેલાડીઓને થતી સમસ્યાઓ વિશે વાત કરી હતી.
ટીમના કેટલાક ખેલાડીઓ સતત ક્રિકેટ રમતા હતા અને બાયો બબલમાં હતા. આમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત જેવા નામ સામેલ છે. વર્લ્ડ કપ બાદ કોચ પદેથી રાજીનામું આપનાર રવિ શાસ્ત્રીએ એ વાતોને નકારી કાઢી છે. જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ખેલાડીઓ IPLને વધુ મહત્વ આપે છે.
રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે ટીમનો દરેક ખેલાડી દેશ માટે રમવાનું પસંદ કરે છે અને દેશનું પ્રતિનિધિત્વ કરતી વખતે પોતાને ભાગ્યશાળી માને છે.શાસ્ત્રીએ આ સંદર્ભમાં મીડિયા રિપોર્ટસમાં જણાવ્યું હતું કે, બિલકુલ નહીં. તેમાં કોઈ શંકા નથી જો તમારું ધ્યાન દેશ માટે રમવા પર ન હોત તો ટીમે છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રદર્શન કર્યું છે તે ન થયું હોત. ફ્રેન્ચાઇઝી ક્રિકેટ કરતાં દેશ માટે રમવાનું મહત્વ તમને કોણ કહેશે? તે ભારત માટે રમી રહ્યો છે. તમે તે બેચને તમારી છાતી પર લગાવીને રમો છો.
આગળ કહ્યુ કે, તમને સમગ્ર વિશ્વમાં લાખો લોકો દ્વારા જોવામાં આવે છે. તમે દેશના લાખો લોકોમાંથી 11 ભાગ્યશાળી છો. જેણે પણ આ વાતો કહી છે તેના માટે મારી પાસે સમય નથી.
કોઈ વિકલ્પ ન હતો
વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓએ IPL-2021ના બીજા હાફમાં ભાગ લીધો હતો. IPL-2021ની ફાઈનલ 15 ઓક્ટોબરે રમાઈ હતી. જ્યારે વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થયો હતો. આઈપીએલનું આયોજન એપ્રિલ-મેમાં કરવામાં આવી રહ્યું હતું, પરંતુ કોવિડને કારણે તેને અધવચ્ચે જ અટકાવવી પડી હતી. તેથી લીગની બાકીની મેચોનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રીએ કહ્યું, “હું બિલકુલ નહીં કહું કે ખેલાડીઓએ IPLને મહત્વ આપ્યું. કારણ કે IPL સ્થગિત કરવામાં આવી હતી. તેની પાસે કોઈ વિકલ્પ નહોતો, તેથી તેણે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઉપલબ્ધ વિંડોમાં તેનું આયોજન કર્યું. મને નથી લાગતું કે ભવિષ્યમાં આવું થશે.