Ranji Trophy: ટીમ ઇન્ડિયામાં નેટ બોલીંગ કરતા ગુજરાતના બોલરે કર્યો કમાલ, પાંચ શિકાર કરી હરીફ ટીમને ધરાશાયી કરી દીધી
ગુજરાતના અર્જન નાગવાસવાલા (Arzan Nagwaswalla) એ શુક્રવારે રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે શાનદાર બોલિંગ કરી હતી.
રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ગુજરાત અને મધ્યપ્રદેશ (Gujarat Vs Madhya Pradesh) ની ટીમો વચ્ચે રણજી ટ્રોફી ની મેચ રમાઇ રહી છે. રણજી ટ્રોફી મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ મધ્ય પ્રદેશની ટીમ ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ગુજરાતની ટીમ ના બોલર અર્જન નાગવાસવાલા (Arzan Nagwaswalla) એ શરુઆત થી જ ધમાલ મચાવતા મધ્યપ્રદેશને 274 રનમાં સમેટી લીધુ હતુ. એક સમયે શુભમ શર્મા (Shubham Sharma) અને રજત પાટીદારની રમતને જોતા ગુજરાત પર મોટો સ્કોર ખડકાશે એમ લાગી રહ્યુ હતુ.
અર્જને તેના સ્પેલમાં 22 ઓવર કરી હતી અને જેમાં તેની પાંચ ઓવર મેડન રહી હતી. 22 ઓવરમાં તેણે કસીને બોલીંગ કરતા માત્ર 59 જ રન હરીફ ટીમને આપ્યા હતા. આ દરમિયાન અર્જને 5 વિકેટ ઝડપી હતી. તેણે ઓપનીંગ જોડીને જ ઝડપથી વિખેરી દીધી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશની ટીમના કેપ્ટન આદિત્ય શ્રીવાસ્તવનો પણ શિકાર કર્યો હતો. તેમજ ઇશ્વર પાંડે અને કુલદિપ સેનના રુપમાં નિચલા ક્રમના ખેલાડીને પણ ઝડપથી પેવેલિયન મોકલ્યા હતા.
મધ્યપ્રદેશની પ્રથમ વિકેટ 37 રને રમિઝ ખાનના રુપમાં ગુજરાતને મળી હતી. જે જોડીને અર્જને તોડી હતી. બાદમાં 44 ના સ્કોર હરીફ ટીમ હતી ત્યારે બીજા ઓપનર અજય રોહેરાની વિકેટ ઝડપી લીધી હતી. આમ ગુજરાતની છાવણીમાં ખુશીઓના માહોલ છવાયો હતો. જોકે બાદમાં શુભમ શર્મા અને રજન પાટીદારે તેમની ટીમની જવાબદારી નિભાવી હતી. જોકે બંનેની વિકેટ ગુજરાતના બોલરોને મળવા બાદ મધ્યપ્રદેશની ટીમના ખેલાડીઓની પેવેલિયન થી પિચ વચ્ચે આવન જાવન શરુ થઇ ગઇ હતી.
ટીમ ઇન્ડિયામાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ થયો હતો
ગયા વર્ષે આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માટે 23 વર્ષીય ખેલાડીને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. લગભગ 28 વર્ષથી એક પારસી ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક મળી. જોકે તે રમી શક્યો નહોતો. તેણે 2018-19 ની સિઝનમાં રણજીમાં ડેબ્યૂ કર્યું હતું અને મુંબઈ સામે પાંચ વિકેટ ખેરવીને તે ચર્ચામાં આવ્યો હતો.
આ પછી તેણે આગલી સિઝનમાં 41 વિકેટ ઝડપી હતી. આ પછી, રણજી ટ્રોફીનું આયોજન જ કરવામાં આવ્યું ન હતું. તે જ વર્ષે, તેણે વિજય હજારે ટ્રોફીમાં પણ 19 વિકેટ લીધી, ત્યારબાદ તેને ટીમ ઈન્ડિયામાં બોલાવવામાં આવ્યો. ગુરુવારે તેણે ફરી એકવાર પોતાની ટીમ માટે શાનદાર રમત બતાવી, જેના કારણે મધ્યપ્રદેશની ટીમ પ્રથમ દાવમાં માત્ર 274 રન જ બનાવી શકી. અર્જન વલસાડ જિલ્લામાંથી આવે છે તેને આઇપીએલમાં રમવાની ઇચ્છા હતી, પરંતુ ઓક્શનમાં તે પૂર્ણ થઇ શકી નહોતી. પરંતુ નિરાશ થયા વિના તેણે શાનદાર રમત દર્શાવી હતી.