T20 World Cup 2026 : પિઝાની દુકાનમાં કામ કરતાં ખેલાડીની ધમાલ, ધડા-ધડ લઈ લીધી આટલી વિકેટ, જુઓ
ઇટાલીના લેગ-સ્પિનર કૃષ્ણ કાલુગામેગેએ T20 વર્લ્ડ કપમાં નેપાળ સામે 3 વિકેટ ઝડપી સૌને પ્રભાવિત કર્યા. પિઝા શોપમાં કામ કરતા અને અઠવાડિયામાં માત્ર એક દિવસ ક્રિકેટ પ્રેક્ટિસ માટે 700 કિમી મુસાફરી કરતા આ ખેલાડીની સફર અદભૂત છે.

T20 વર્લ્ડ કપ 2026ની 17મી મેચમાં ઇટાલીના લેગ-સ્પિનરે સૌને ચોંકાવી દીધા. ઇટાલીના બોલરોએ 20મી ઓવર પહેલાં જ નેપાળને ઓલઆઉટ કરી દીધું. નેપાળની ટીમ 123 રનમાં સીમિત રહી, જેમાં સૌથી મોટું યોગદાન લેગ-બ્રેક બોલર Krishna Kalugamage નું રહ્યું. તેણે માત્ર 18 રન આપી 3 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી.
નેપાળ સામેની આ મેચમાં ઇટાલીની બોલિંગ એકદમ અસરકારક રહી. કૃષ્ણ કાલુગામેગેએ પોતાની ચોક્કસ લાઇન અને લંબાઈથી નેપાળી બેટ્સમેનોને સંપૂર્ણ રીતે ફસાવ્યા. આ પ્રદર્શન T20 વર્લ્ડ કપમાં તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.
આ સફળતા પાછળની કહાની વધુ પ્રેરણાદાયક છે. શ્રીલંકન મૂળ ધરાવતો આ બોલર હાલ ઇટાલીના લુક્કા શહેરમાં પિઝા શોપમાં કામ કરે છે. વ્યસ્ત કામના કારણે તેને અઠવાડિયામાં માત્ર એક જ દિવસ ક્રિકેટ પ્રેક્ટિસ કરવાની તક મળે છે. ક્રિકેટ ઇટાલીમાં ખાસ લોકપ્રિય ન હોવાથી, પ્રેક્ટિસ માટે તેને લગભગ 700 કિલોમીટરની મુસાફરી કરીને રોમ જવું પડતું હતું. સવારે રોમ જઈ પ્રેક્ટિસ અને રાત્રે ફરી લુક્કા પરત ફરવું, આ તેની રોજની મહેનતનો ભાગ રહ્યો છે.
Italy’s Crishan Kalugamage, a pizza maker by trade, balances his restaurant job with his role as a leg-spinner for the national cricket team. He lost jobs due to Sunday cricket matches.
His story highlights the dedication of players in emerging cricket nations. It also shows how… pic.twitter.com/xBWqEPiPaW
— Gully Point (@gullypoint_) February 12, 2026
કૃષ્ણ કાલુગામેગેનો જન્મ 16 જૂન 1991ના રોજ શ્રીલંકાના નેગોમ્બો નજીકના એક નાના ગામમાં થયો હતો. બાળપણથી જ તે અરવિંદ ડી સિલ્વા અને સનથ જયસૂર્યાનો મોટો ચાહક રહ્યો છે. 15 વર્ષની ઉંમરે તેના માતા-પિતા રોજગાર માટે ઇટાલી ગયા, જ્યાંથી તેની ક્રિકેટ સફર વધુ પડકારજનક બની.
T20 વર્લ્ડ કપ માટે તૈયારી પણ તેણે ખાસ રીતે કરી હતી. ટૂર્નામેન્ટ પહેલાં તે શ્રીલંકા ગયો અને ત્યાં શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમ સાથે નેટ બોલર તરીકે પ્રેક્ટિસ કરી. આ સમયગાળામાં તેને ઉચ્ચ સ્તરના બેટ્સમેનો સામે બોલિંગ કરવાની તક મળી, જેનો ફાયદો હવે આંતરરાષ્ટ્રીય મંચ પર દેખાઈ રહ્યો છે.
નેપાળ સામેની મેચમાં કૃષ્ણ કાલુગામેગેએ કેપ્ટન રોહિત પૌડેલ, દીપેન્દ્ર સિંહ એરી અને ગુલઝાન ઝાની જેવી મહત્વપૂર્ણ વિકેટો લઈને મેચનો રૂખ બદલી નાખ્યો. પિઝા શોપથી વર્લ્ડ કપના મેદાન સુધીની તેની સફર આજે ઘણા યુવા ખેલાડીઓ માટે પ્રેરણા બની છે.
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીત માટે ટીમ ઈન્ડિયાનનો પ્લાન તૈયાર, ખેલાડીએ કર્યો ખુલાસો
