
T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીને લઈને પણ ઘણી ચર્ચા ચાલી રહી છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આ વખતે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓપનિંગ માટે આવવું જોઈએ. જ્યારે બીજો અભિપ્રાય એ પણ છે કે ભારત માટે નિયમિત ઓપનર રોહિત અને યશસ્વી સાથે વળગી રહેવું વધુ સારું રહેશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડને આ મામલે ખૂબ જ રસપ્રદ ઓપનિંગ જોડીની સલાહ આપી છે.
વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પંજાબ કિંગ્સ સામે, તેણે 195ના સ્ટ્રાઈક રેટથી 47 બોલમાં 92 રન બનાવીને તેના ટીકાકારોને ચૂપ કરી દીધા. આ પછી ફરી એકવાર T20 વર્લ્ડ કપમાં તેના ઓપનિંગને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. વાસ્તવમાં, મોટાભાગના ક્રિકેટ નિષ્ણાતોએ રોહિત-યશસ્વી અથવા રોહિત-કોહલીની જોડીથી ઈનિંગની શરૂઆત કરવાની સલાહ આપી છે. પરંતુ સ્ટાર સ્પોર્ટ્સ પર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડનના વિશ્લેષણ મુજબ ભારતીય ટીમે વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને T20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરવા મોકલવા જોઈએ.
હેડનના મતે ટોચના ક્રમમાં લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન હોવું જરૂરી છે. આટલું જ નહીં, તેનું માનવું છે કે સૂર્યકુમાર યાદવનું નંબર 3 પર અને કેપ્ટન રોહિત શર્માનું ચોથા નંબર પર બેટિંગ કરવું ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હેડને એમ પણ કહ્યું કે રોહિત શર્મા એવો બેટ્સમેન છે જે કોઈ પણ ક્રમે રમી શકે છે. તેથી ભારતીય ટીમને કોઈ મુશ્કેલી નહીં પડે.
મેથ્યુ હેડને દલીલ કરી હતી કે કોહલી પાવરપ્લેમાં રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય તેની ઓપનિંગ અને રોહિત ચોથા નંબર પર આવવાથી ટીમને સ્થિરતા મળશે. તેણે કહ્યું કે ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે રોહિત શર્માના આંકડા શાનદાર છે. આ સિવાય ભારતીય ટીમની બેટિંગ લાઈન અપમાં શરૂઆતથી અંત સુધી ઝડપી રન બનાવનારા બેટ્સમેન હશે. કારણ કે કોહલી પાવરપ્લેમાં ઝડપથી રન બનાવી શકશે. તેના પછી, સૂર્યા, રોહિત અને અન્ય બેટ્સમેન મધ્ય ઓવરોમાં પણ ઉચ્ચ સ્ટ્રાઈક રેટથી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે નીચલા ક્રમમાં ભારત પાસે પંડ્યા અને જાડેજા જેવા હિટર્સ હશે.
IPL 2024માં વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ પોતપોતાની ટીમો માટે ઈનિંગ્સની શરૂઆત કરી રહ્યા છે. એક તરફ, રોહિત અને યશસ્વી હજુ સુધી એટલી સફળતા મેળવી શક્યા નથી, ત્યાં વિરાટ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સાબિત થયો છે. વિરાટે 12 મેચમાં 153ના સ્ટ્રાઈક રેટથી 634 રન બનાવ્યા છે. જ્યારે રોહિતે 12 મેચમાં 152ના સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા છે અને યશસ્વીએ 11 મેચમાં 157ના સ્ટ્રાઈક રેટથી 320 રન બનાવ્યા છે. પરંતુ આમાં જો યશસ્વીને ઓપનિંગમાંથી હટાવી દેવામાં આવે તો લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન સમાપ્ત થાય છે. આ સિવાય તેને નીચે બેટિંગ કરવાનો અનુભવ પણ નથી. બીજી તરફ રોહિત શર્માને નીચલા ક્રમે પણ બેટિંગ કરવાનો અનુભવ છે. આવી સ્થિતિમાં કોહલી અને યશસ્વીની જોડી T20 વર્લ્ડ કપમાં ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : IPL 2024: બેંગલુરુ સામેની મેચ પહેલા દિલ્હીને સૌથી મોટો ફટકો, કેપ્ટન રિષભ પંત પર લાગ્યો એક મેચનો પ્રતિબંધ