ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) એ ડોમેસ્ટિક સીઝન પહેલા મોટો નિર્ણય લેતા બરોડા ક્રિકેટ ટીમ (Baroda Cricket Team) ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. આ ડાબા હાથના ખેલાડીએ આ અંગે બરોડા ક્રિકેટ એસોસિએશનને ઈમેલ દ્વારા જાણ કરી છે. એક મીડિયા અહેવાલ મુજબ કૃણાલે આ મેઇલ બોર્ડના અધ્યક્ષ પ્રણવ અમીનને મોકલ્યો છે, જેમાં લખ્યું છે કે, હું તમને જણાવવા માંગુ છું કે વર્તમાન ડોમેસ્ટિક સિઝનમાં હું બરોડાની કેપ્ટનશીપ માટે ઉપલબ્ધ નહીં રહીશ. જોકે હું ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ રહીશ. ટીમના સભ્ય તરીકે હું મારું સર્વશ્રેષ્ઠ આપીશ. હું ટીમના હિતમાં મારું યોગદાન આપીશ.
કૃણાલની કપ્તાની હેઠળની ટીમ બરોડાનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તાજેતરમાં સમાપ્ત થયેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, ટીમ તેના ગ્રુપ-બીમાં છેલ્લી રહી હતી. પાંચ મેચમાં ટીમ માત્ર એક જ મેચ જીતી શકી અને નોકઆઉટમાં ક્વોલિફાય કરી શકી નહીં. આ દરમિયાન કૃણાલનું પ્રદર્શન પણ સારું રહ્યું ન હતું. તેણે પાંચ મેચમાં 87 રન બનાવ્યા. જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. બોલિંગની વાત કરીએ તો તેણે 5.94ની ઈકોનોમીમાં પાંચ વિકેટ ઝડપી હતી.
અહેવાલ મુજબ સીનિયર ખેલાડી કેદાર દેવધર ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. બીજી તરફ ડાબોડી સ્પિન ભાર્ગવ ભટ્ટને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. આ બંને વિજય હજારે ટ્રોફીમાં આ ભૂમિકામાં જોવા મળી શકે છે. આ ટ્રોફી આવતા મહિનાથી શરૂ થઈ રહી છે.
કૃણાલ પંડ્યાએ પ્રથમ બે સિઝનમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. જોકે આ દરમિયાન તે વધુ વિવાદોમાં રહ્યો હતો. દીપક હુડ્ડા સાથેના વિવાદે કૃણાલને લાઇમલાઇટમાં મૂક્યો હતો. હુડ્ડાએ કૃણાલ પર ખરાબ વર્તનનો આરોપ લગાવ્યો હતો અને પછી તે બરોડા છોડીને રાજસ્થાન માટે રમવા ગયો હતો. આ સિઝનમાં તેણે રાજસ્થાનની જર્સી પહેરી હતી.
હુડ્ડાએ BCA ને ઈમેલ લખીને કૃણાલ વિશે ફરિયાદ કરી હતી. તેણે લખ્યું, આ સમયે હું નિરાશ, હતાશ અને દબાણમાં છું કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી મારી ટીમનો કેપ્ટન કૃણાલ પંડ્યા મારી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે, તે પણ મારા સાથી ખેલાડીઓ અને અન્ય રાજ્યની ટીમો સામે પણ.
Published On - 4:23 pm, Sat, 27 November 21