‘CSKના બેટ્સમેન IPL છોડીને ઘરે જવા માંગે છે…’ વીરેન્દ્ર સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ પર સાધ્યું નિશાન

આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની દોડમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. IPL 2025માં ન તો CSK બેટ્સમેનોએ, કે ન તો બોલરોએ કંઈ ખાસ કર્યું. ચેન્નાઈના આ ખરાબ પ્રદર્શન પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ટીમના બેટ્સમેનોને નિશાન બનાવ્યા છે.

CSKના બેટ્સમેન IPL છોડીને ઘરે જવા માંગે છે... વીરેન્દ્ર સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ પર સાધ્યું નિશાન
Jadeja, Dhoni & Virender Sehwag
Image Credit source: PTI/X
| Updated on: Apr 26, 2025 | 6:25 PM

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બીજી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નાઈનો 9 મેચમાં આ સાતમો પરાજય હતો. આ હાર સાથે, પ્લેઓફમાં પહોંચવાની ચેન્નાઈની આશા લગભગ ધૂંધળી થઈ ગઈ છે. મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમય પછી ફરી એકવાર ચેન્નાઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેની કેપ્ટનશીપ હેઠળ ટીમના પ્રદર્શનમાં કોઈ ફેરફાર થયો નથી. ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે આ સિઝનમાં ચેન્નાઈના ખરાબ પ્રદર્શન બાદ CSKના બેટ્સમેનો પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે આટલા અનુભવી હોવા છતાં CSKના બેટ્સમેન આ સિઝનમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા છે.

રવીન્દ્ર જાડેજા નિષ્ફળ ગયો

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન આ સિઝનમાં ઘણું નિરાશાજનક રહ્યું છે. તેણે 9 મેચોમાં 9 ઈનિંગ્સમાં 27.66ની સરેરાશથી ફક્ત 166 રન બનાવ્યા છે. આમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ ફક્ત 125.75 છે. આ સિઝનમાં ચેન્નાઈએ જાડેજાને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો, પરંતુ જાડેજા બેટથી અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. જો તે ટીમ માટે રન બનાવે તો પણ તેનો સ્ટ્રાઈક રેટ પર સવાલ થવો સ્વભાવિક છે. ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે જાડેજા પર નિશાન સાધ્યું અને કહ્યું કે જાડેજાએ SRH સામે એક છેડો પકડી રાખવો જોઈતો હતો કારણ કે ત્યાંની પરિસ્થિતિઓ બેટિંગ માટે મુશ્કેલ હતી.

 

સેહવાગે જાડેજાને ટોણો માર્યો

ત્યારબાદ સેહવાગે ચેન્નાઈના બેટ્સમેનોને ટોણો મારતા કહ્યું, “શું હું એમ નહોતો કહેતો કે ટુર્નામેન્ટની વચ્ચે મને ઘરે જવાનું મન થાય છે? ચેન્નાઈના બેટ્સમેન કદાચ એ જ વિચારી રહ્યા છે. ચેન્નાઈના બેટ્સમેન વિચારી રહ્યા છે કે તેઓ ક્યારે ઘરે પાછા જશે. ચેન્નાઈના ઓછામાં ઓછા એક બેટ્સમેનને તો જવાબદારી લેવી જોઈતી હતી. સેહવાગે જાડેજાના સ્ટ્રાઈક રેટને ખરાબ ગણાવ્યો હતો અને કહ્યું કે તેમણે ઓછામાં ઓછું 15મી કે 18મી ઓવર સુધી રહેવાનો પ્રયાસ કરવો જોઈતો હતો.

બેટિંગ લાઈનઅપ પર ઉઠાવ્યા સવાલ

ચેન્નાઈના બેટિંગ ઓર્ડર અંગે સેહવાગે કહ્યું કે જ્યારે ચેન્નાઈ ટીમમાં તેના કરતા સારા બેટ્સમેન છે ત્યારે સેમ કરન ત્રીજા નંબર પર બેટિંગ કરવા કેમ આવ્યો. બ્રેવિસ સેમ કરનની જગ્યાએ બેટિંગ કરવા આવી શક્યો હોત. આ પછી શિવમ દુબેને મોકલવો જોઈતો હતો. આ પછી જાડેજા, સેમ કરન અને દીપક હુડ્ડા બેટિંગ કરવા આવી શક્યા હોત. ટીમને ઋતુરાજ ગાયકવાડની ખોટ પડી રહી છે.

આ પણ વાંચો: IPL 2025માં વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન પાછળ છે ‘હનુમાનજી’, હંમેશા સાથે રાખે છે ભગવાનની મૂર્તિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:24 pm, Sat, 26 April 25