IPL 2022: ગુજરાતને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવી ભારે પડી ગઈ! હાર્દિક પંડ્યાએ બતાવ્યુ કારણ
ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જે આ સિઝનમાં ભાગ્યે જ જોવા મળ્યો છે. મોટાભાગના કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.
ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમ પહેલીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગનો ભાગ બની છે અને તેની પ્રથમ સિઝનમાં આ ટીમ અન્ય ટીમોને માથાનો દુખાવો આપી રહી છે. IPL 2022 માં, આ ટીમે અત્યાર સુધીમાં કુલ 10 મેચ રમી છે, જેમાંથી તેણે આઠ મેચ જીતી છે જ્યારે બે મેચ હારી છે. તેને મંગળવારે આ બીજી હાર મળી હતી. પંજાબ કિંગ્સે (Punjab Kings) તેને આઠ વિકેટે હરાવ્યો હતો. આ મેચમાં ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે આ સિઝનમાં ભાગ્યે જ જોવા મળ્યો છે. આ સિઝનમાં મોટાભાગના કેપ્ટનોએ ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનું નક્કી કર્યું છે, પરંતુ પંડ્યાએ તેનાથી વિપરીત કર્યું. હવે પંડ્યાએ આ નિર્ણય અંગે પોતાનો ખુલાસો કર્યો છે.
પંડ્યાએ કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમની કસોટી કરવા માટે તેણે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.તેણે કહ્યું કે આ પીચ પર 170 રનનો સ્કોર સ્પર્ધાત્મક રહ્યો હોત પરંતુ સતત વિકેટો ગુમાવવાને કારણે ટીમ મોટી કરી શકી ન હતી. સ્કોર પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતાં ગુજરાતની ટીમ આઠ વિકેટે 143 રન જ બનાવી શકી હતી. પંજાબે 16 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત નોંધાવી હતી. તેના માટે શિખર ધવને અણનમ 62, ભાનુકા રાજપક્ષે 40 અને લિયામ લિવિંગસ્ટોને અણનમ 30 રન બનાવ્યા હતા.
લય મેળવી શક્યા નથી – પંડ્યા
પંડ્યાએ મેચ બાદ એવોર્ડ સમારોહમાં કહ્યું, સ્વાભાવિક રીતે અમે અહીં સ્પર્ધાત્મક સ્કોરની નજીક પણ નહોતા. આ પિચ પર 170નો સ્કોર આદર્શ હોત પરંતુ અમે વિકેટો ગુમાવવાનું ચાલુ રાખ્યું અને મોમેન્ટમ શોધી શક્યા નહીં. હું પહેલા બેટિંગ કરવાના મારા નિર્ણયનો બચાવ કરું છું કારણ કે અમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં અમારી ટીમની કસોટી કરવા માગતા હતા. તેથી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. અમે ટાર્ગેટનો પીછો કરતા સારો દેખાવ કરી રહ્યા છીએ પરંતુ અમે અમારા બેટ્સમેનોને કેટલાક દબાણમાં લાવવા માગતા હતા જેથી જ્યારે પ્રથમ બેટિંગ કરવાનો સમય આવે ત્યારે અમે પહેલા બેટિંગ કરી શકીએ. હું જાણતો હતો કે નવો બોલ હરકત કરી શકે છે, પરંતુ જો તમે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખશો તો તમે દબાણમાં રહેશો.
હારમાંથી શીખ્યા પાઠ
પંડ્યાએ કહ્યું કે તેણે આ હારમાંથી શીખવું જોઈએ. તેણે કહ્યું, અમને જોઈએ તેવી શરૂઆત મળી નથી. પરંતુ હું આ હારમાંથી શીખવા માંગુ છું. આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. પહેલા બેટિંગ કરીને મોટો સ્કોર બનાવવો પડશે. ભલે આપણે જીતતા હોઈએ, અમે હંમેશા વધુ સારા બનવા માંગીએ છીએ.