આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચેની ટી20 સિરીઝની અંતિમ મેચ રમાનારી છે. કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી T20 સિરીઝ માં ભારતીય ટીમ અજેય છે. પ્રથમ બંને ટી20 મેચ જીતી લઇને ભારતે સિરીઝ પોતાને નામ કરી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હવે આજે વન ડે સિરીઝની માફક વેસ્ટ ઇન્ડિઝની ટીમને ક્લીન સ્વિપ કરવાના ઇરાદે મેદાને ઉતરશે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ટીમે પણ પોતાની આબરુ બચાવતી રમત આજે દર્શાવવી પડશે. એટલે કે પ્રવાસની પ્રથમ જીત મેળવવા પ્રયાસ કરવો પડશે. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) માટે આજે કેરેબિયન ટીમ સામે ભારતના નંબર વન ટી20 બોલર બનવાની તક છે.
સિરીઝની અંતિમ ટી20 મેચ યુઝવેન્દ્ર માટે ખાસ બની શકે છે અને એ માટે તેને ખૂબ આતુરતા હશે એ પણ સ્વાભાવિક છે. યુઝવેન્દ્ર ચહલને આ માટે માત્ર એેક જ વિકેટનો ઇંતઝાર છે અને જે તેના પ્રદર્શનને જોતા આસાન છે. યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20Iમાં વિકેટ લઈને T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. તે આ મામલે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પાછળ છોડી દેશે. બંને ખેલાડીઓના ખાતામાં હાલમાં 66 વિકેટ છે.
બીજી ટી20 મેચમાં ચહલે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ચહલે ઓપનર કાયલ માયર્સને પેવેલિયન મોકલ્યો હતો. આ વિકેટ સાથે ચહલે ભારત માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના જસપ્રીત બુમરાહના રેકોર્ડની બરાબરી કરી લીધી.
ચહલની આ શ્રેણીની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂક્યો છે અને બંને મેચમાં તેણે 1-1 વિકેટ ઝડપી છે. જો તેને છેલ્લી મેચમાં પણ તક મળશે તો તે બુમરાહને સરળતાથી પાછળ છોડી દેશે. જ્યારે બુમરાહને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે, તે શ્રીલંકા સામેની આગામી T20 શ્રેણીમાં વાપસી કરશે.