ભારતને પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાની હેઠળની ભારતીય ટીમ ને શ્રેણીની પ્રથમ મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પંતની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા છે. પંતની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવતા ભૂતપૂર્વ ભારતીય બોલર આશિષ નેહરા (Ashish Nehra) કહે છે કે યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) પાસેથી માત્ર 2.1 ઓવર લેવાની પંતની વ્યૂહરચનાથી તે આશ્ચર્યચકિત છે. IPL 2022 પર્પલ કેપ વિજેતા ચહલે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં માત્ર 13 બોલ ફેંકીને 26 રન આપ્યા હતા. IPL 2022 માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતી વખતે, પંતને કુલદીપ યાદવ તરફથી ઘણી વખત સંપૂર્ણ ઓવરો મળી ન હતી. જ્યારે IPL 2022 માં દિલ્હી માટે કુલદીપ સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. નેહરા કહે છે કે ચહલે રાસી વાન ડેર ડ્યુસેન અને ડેવિડ મિલરની જોડી તોડવા માટે બોલિંગ કરવી જોઈતી હતી.
પ્રથમ મેચમાં નબળી બોલિંગની સાથે ભારતની ફિલ્ડિંગ પણ ખૂબ જ ખરાબ રહી હતી. ભારતે ઘણા મહત્વપૂર્ણ કેચ છોડ્યા. મીડિયા અહેવાલ સાથે વાત કરતા નેહરાએ કહ્યું કે પંત યુવા કેપ્ટન છે. તે શીખશે અને આશા છે કે તે વધુ સારું કરશે. તેણે કહ્યું કે ચહલે માત્ર 2.1 ઓવર જ નાખી. કેટલીકવાર ટીમો ડાબા હાથની બેટિંગને કારણે લેગ-સ્પિનરોને અંકુશમાં રાખે છે. નેહરાએ કહ્યું કે મધ્ય ઓવરોમાં વિકેટ લેવાનો વિકલ્પ હોવો મહત્વપૂર્ણ છે અને જો તમે કોઈ મહાન બેટ્સમેનને રોકવા માંગતા હોવ તો તમારે તેની વિકેટ લેવી પડશે. નેહરાએ કહ્યું કે ડિફેન્સિવ બોલિંગ કામ નહીં કરે.
મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકાને 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 5 બોલ પહેલા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને મેચ 7 વિકેટે જીતી લીધી હતી. મિલર અને ડુસેન સદીની ભાગીદારી કરીને દક્ષિણ આફ્રિકાની શાનદાર જીતમાં મોટો ફાળો આપ્યો હતો. ભારત તરફથી ઈશાન કિશને સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન પંતે 29 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 31 રન બનાવ્યા હતા. જો કે ડુસેન અને મિલરની ઈનિંગ તેના પર ભારે પડી હતી. ચહલે IPL 2022 માં 17 મેચમાં 27 વિકેટ લીધી હતી.
Published On - 9:59 pm, Fri, 10 June 22