ટીમ ઈન્ડિયા (Team India) એ ત્રીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડ (New Zealand) ને 73 રને હરાવી ટી20 સીરીઝ પર કબ્જો કરી લીધો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. આ રીતે, રોહિત શર્મા (Rohit Sharma) અને રાહુલ દ્રવિડ (Rahul Dravid) ના કાર્યકાળની શાનદાર શરૂઆત થઈ.
T20 ફોર્મેટમાં, ટીમના નવા કેપ્ટન રોહિત અને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં, પ્રથમ શ્રેણીમાં ઘણા સિનિયર ખેલાડીઓની ગેરહાજરી છતાં, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ન્યુઝીલેન્ડ સામેની ત્રણેય મેચ સરળતાથી જીતી લીધી હતી. પોતાની પ્રથમ શ્રેણી જીતવા છતાં, કોચ દ્રવિડે ટીમ ઈન્ડિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે હવામાં ઉડવાનું ટાળવું પડશે.
બરાબર 3 અઠવાડિયા પહેલા 31 ઓક્ટોબરના રોજ, ભારતીય ટીમને T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેણે ભારતને ગ્રુપ રાઉન્ડમાંથી જ બહાર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં, ભારતીય ટીમે 21 દિવસમાં 3 મેચની શ્રેણીમાં એકતરફી રીતે તે જ કીવી ટીમને હરાવીને શ્રેણી જીતી લીધી.
વર્લ્ડ કપમાં રમેલ કિવી ટીમના માત્ર 2-3 સ્ટાર્સ જ આ સિરીઝમાં રમી રહ્યા ન હતા, જ્યારે ટીમ ઈન્ડિયાના મોટાભાગના સ્ટાર્સને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતી હોવા છતાં, ભારતે કેટલાક નવા ખેલાડીઓ અને કેટલાક સિનીયર ખેલાડીઓ ફોર્મમાં પાછા ફરતા પ્રભાવશાળી પ્રદર્શન સાથે જીત નોંધાવી હતી.
ટીમ ઈન્ડિયાની જીત બાદ જો કે કોચ દ્રવિડે સ્પષ્ટ કર્યું કે ભારતીય ખેલાડીઓએ જીતની ખુશી તો લેવી જોઈએ, પરંતુ પોતાના પગ જમીન પર રાખવા જોઈએ. તેણે એ હકીકત તરફ પણ ધ્યાન દોર્યું કે કિવિઓએ વર્લ્ડ કપ ફાઈનલ પછી માત્ર એક અઠવાડિયામાં 3 વધુ મેચ રમી અને તેથી આ વિજયને તે નજરથી જોવાની જરૂર છે.
મીડીયા અહેવાલમાં વાત દરમિયાન દ્રવિડે કહ્યું હતુ, ખરેખર સારી શ્રેણી હતી. શ્રેણીની શરૂઆતથી જ દરેકે સારું યોગદાન આપ્યું હતું. શાનદાર શરૂઆત કરવા માટે સારું લાગે છે પરંતુ આપણે વાસ્તવિક રહેવું પડશે અને આપણે આપણા પગ જમીન પર રાખવાની જરૂર છે. વર્લ્ડ કપ ફાઈનલ બાદ 6 દિવસમાં ત્રણ મેચ રમવી ન્યુઝીલેન્ડ માટે આસાન ન હતું. આપણે આપણા પગ જમીન પર રાખીને નવા પાઠ સાથે આગળ વધવાનું છે.
વેંકટેશ અય્યર અને હર્ષલ પટેલે આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું, જ્યારે યુવા બેટ્સમેન ઈશાન કિશન પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યા હતા. બધાએ પોતપોતાની રીતે પ્રભાવિત કર્યા. આ ખેલાડીઓની વાત કરીએ તો દ્રવિડ ખુશ દેખાતા હતા.
તેમણે કહ્યું, કેટલાક યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું તે જોઈને ખરેખર આનંદ થયો. અમે એવા ખેલાડીઓને તક આપી જેઓ છેલ્લા કેટલાક મહિનામાં વધારે ક્રિકેટ નથી રમ્યા. અમારી પાસે સારા વિકલ્પો છે તે જોઈને ખરેખર આનંદ થયો.
T20 સિરીઝ પર કબજો કર્યા પછી, કોચ દ્રવિડનું ધ્યાન એક મોટી પરીક્ષા પર રહેશે, જે 25 નવેમ્બરથી કાનપુર (Kanpur Test) માં શરૂ થશે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી કાનપુરમાં શરૂ થશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાશે. જૂનમાં છેલ્લી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ પ્રથમ વખત કિવી ટીમ સામે ટકરાશે અને તે હારની ભરપાઈ કરવા માંગશે.
Published On - 9:48 am, Mon, 22 November 21